12 October, 2020 03:48 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent
બીએસઈ
વૈશ્વિક સ્તર પર મિશ્ર સંકેતો વચ્ચે ઘરેલૂ બજાર સતત આઠમાં કારોબારી દિવસે વધારા સાથે બંધ થયું છે. બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 84.31 અંક એટલે 0.21 ટકા વધીને 40,593.80 અંકના સ્તર પર બંધ થયું. એવી જ રીતે એનએસઈના નિફ્ટી 16.80 અંક એટલે 0.14 ટકાના વધારા સાથે 11,931 અંકના સ્તર પર બંધ થયું. અત્રે એ ઉલ્લેખનીય છે કે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં લગભગ 400 પોઇન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સમાં આઈટીસીના શૅરોમાં સૌથી વધારે 2.59 ટકાની તેજી જોવા મળી હતી. એવી જ રીતે ઈન્ફોસિસના શૅરોમાં 2.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એ સિવાય એશિયન પેન્ટ્સ, એચસીએલ ટેર, પાવરગ્રિડ, મારૂતિ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈના શૅર પણ વધારા સાથે બંધ થયા હતા.
વેપારીઓએ જણાવ્યું હતું કે શૅર બજારોની શરૂઆત હકારાત્મક સેન્ટિમેન્ટથી થઈ હતી, પરંતુ ઉત્તેજના પેકેજની જાહેરાત કરવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફેરન્સ પછી બજારના સહભાગીઓએ સાવચેતીભર્યું વલણ દર્શાવ્યું હતું.
તહેવારોની સીઝનમાં ગ્રાહકોની માંગને વેગ આપવા અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સીતારામને સોમવારે સરકારી કર્મચારીઓ માટે ઉત્સવની સીઝનમાં એલટીસીની જગ્યાએ રોકડ વાઉચર અને 10,000 રૂપિયાની એડવાન્સ સ્કીમની જાહેરાત કરી છે.