21 September, 2022 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વર
મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર જાન્યુઆરીમાં અંદાજિત વૃદ્ધિ દરના આઠ ટકાથી નીચે અને સાત ટકાથી વધુ વૃદ્ધિ પામશે. જોકે તેમણે કહ્યું કે આર્થિક ગતિ અને ભાવનાઓ ‘અસ્પષ્ટ’ છે. નાગેશ્વરને ગ્લોબલ ફિન્ટેક ફેસ્ટ ઇવેન્ટમાં બોલતાં જણાવ્યું હતું કે ‘ભારતનો પોતાનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષ માટે જાન્યુઆરીમાં કરવામાં આવેલા અંદાજોથી ઘટીને લગભગ સાત ટકા પ્લસ થયો છે. વિશ્વ હજી પણ કોવિડ રોગચાળાની અસરમાંથી પસાર થઈ રહ્યું છે અને યુક્રેન પર રશિયાના આક્રમણથી શરૂ થયેલ યુરોપમાં ચાલી રહેલું યુદ્ધ સૂચવે છે કે આ પરિબળો વિકાસને નુકસાન પહોંચાડી રહ્યાં છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વાર્ષિક બજેટ પહેલાં જાહેર કરાયેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ ૨૩માં વૃદ્ધિ ૮-૮.૫ ટકા રહેવાનો અંદાજ છે. આરબીઆઇએ જીડીપી ૭.૨ ટકાના દરે વધવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ કેટલાક વિશ્લેષકોએ કહ્યું છે કે ટૂંક સમયમાં અંદાજમાં ઘટાડો થશે.