21 September, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે વી કામથ
પીઢ બૅન્કર અને નૅશનલ બૅન્ક ફૉર ફાઇનૅન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડેવલપમેન્ટ (નાબફીડ)ના ચૅરમૅન કે વી કામથે મંગળવારે જણાવ્યું હતું કે ૨૫ વર્ષમાં ભારત ૨૫ ટ્રિલ્યન અર્થતંત્ર બનવાની અપેક્ષા છે. દેશમાં લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણના વિકાસને ટેકો આપવા માટે ગયા વર્ષે સરકાર દ્વારા નાબફીડની સ્થાપના કરવામાં આવી હતી.
કામથે એમ પણ કહ્યું કે નાબફીડ સંબંધિત તમામ જરૂરી નીતિઓ અને માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ‘અમે શેડ્યુલ પર છીએ (જે) સરકારના ધ્યાનમાં છે,’ તેમણે ઉમેર્યું હતું કે બૅન્કની ૧૨ બૉર્ડ બેઠકો થઈ ચૂકી છે.
કામથે મૉર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું જે ભારતની રાહ જોઈ રહ્યો છું એ હવેથી ૨૫ વર્ષ પછી ૨૫ ટ્રિલ્યન ડૉલર (અર્થતંત્ર) હશે. ભારતીય અર્થવ્યવસ્થા ૮-૧૦ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધી રહી છે. નીતિઓ, પ્રક્રિયાઓ અને માળખું થઈ ગયું છે.