18 January, 2023 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
યુકે અને યુરોપિયન યુનિયન સાથે સૂચિત ફ્રી-ટ્રેડ ઍગ્રીમેન્ટ માટે ભારતની ચાલી રહેલી વાટાઘાટો ટ્રૅક પર છે અને બન્ને પ્રદેશો સાથે આગામી તબક્કાની વાટાઘાટો ટૂંક સમયમાં થશે, એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
ભારતે તાજેતરમાં યુકે સાથે છઠ્ઠા રાઉન્ડ અને યુરોપ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ કરી છે.
યુકે સાથે સાતમો રાઉન્ડ અને યુરોપ સાથે ચોથો રાઉન્ડ ખૂબ જ ટૂંક સમયમાં યોજાશે. બન્ને વેપાર કરાર ટ્રૅક પર છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ ઉમેર્યું હતું કે બન્ને કરાર વ્યાપક પ્રકૃતિના છે અને એમાં માલ, સેવાઓ, રોકાણ, શ્રમ, પર્યાવરણ અને ટકાઉપણું શામેલ છે. આ તમામ મુદ્દાઓ માટે વાટાઘાટો કરનારા દેશો વચ્ચે ઘણી સર્વસંમતિની જરૂર છે અને આ વાટાઘાટો જટિલ કવાયત્ છે.
છેલ્લી વખતે જ્યારે યુકેની વાટાઘાટો ટીમ અહીં હતી ત્યારે અમારી વચ્ચે સારી સમજણ હતી. હવે ઘણી સારી સમજણ છે. બન્ને ટીમો અનુકૂળ ઝડપ અને ગતિએ વાટાઘાટો કરી રહી છે અને બન્ને ટીમો વચ્ચે ઘણા મુદ્દાઓનું સમાધાન થઈ રહ્યું છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
બન્ને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૦-૨૧માં ૧૩.૨ અબજ ડૉલરથી વધીને ૨૦૨૧-૨૨માં ૧૭.૫ અબજ ડૉલરનો થયો હતો, જ્યારે ભારતની નિકાસ ૧૦.૫ અબજ ડૉલર અને આયાત સાત અબજ ડૉલરની થઈ હતી.