19 February, 2020 04:05 PM IST | New Delhi
એચએસબીસી
દુનિયાની સૌથી મોટી બૅન્ક પૈકીની એક એચએસબીસી (હૉન્ગકૉન્ગ શાંઘાઈ બૅન્કિંગ કૉર્પોરેશન) બૅન્કે આગામી ત્રણ વર્ષમાં ૩૫,૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે.
આ જાહેરાત પાછળનું કારણ બૅન્કના નફામાં સતત ત્રણ વર્ષથી થઈ રહેલો ઘટાડો હોવાનું પણ મનાઈ રહ્યું છે. બૅન્કે કહ્યું છે કે યુરોપ અને અમેરિકામાં બૅન્ક પોતાની સેવાઓ અને બિઝનેસનો વ્યાપ ઘટાડશે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ-વૉર, બ્રિટનનું યુરોપિયન સંઘમાંથી છુટા પડવું અને ચીનમાં કોરોના વાઇરસના કારણે ડગમગતું અર્થતંત્ર જેવાં પરિબળોએ બૅન્ક પર અસર પાડી હોવાનું પણ મનાઈ રહ્યું છે.
હવે બૅન્કે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનું નક્કી કર્યું છે જે પ્રમાણે બૅન્કનું ફરી રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે. હાલમાં આખી દુનિયામાં બૅન્કના કુલ કર્મચારીઓની સંખ્યા ૨.૩૫ લાખ જેટલી છે. આ સંખ્યા ઘટાડીને ૨ લાખ કરવામાં આવશે.