ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર ૬૭ ટકા અને મગનું વાવેતર ૪૨ ટકા વધ્યું

08 April, 2021 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઉનાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સમગ્ર દેશમાં ઉનાળુ તલ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે, આથી આ બન્નેની માર્કેટ ગુજરાતના ઉત્પાદન પરથી નક્કી થાય છે.

ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને ચાલુ વર્ષે વાવેતર નવ લાખ હેક્ટરને પાર પહોંચી ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ વધારો આ વર્ષે તલના વાવેતરમાં ૬૭ ટકાનો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં વાવેતર હજી પણ થોડું વધે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.

રાજ્યમાં તલના વાવેતરમાં ૬૭ ટકાનો વધારો થઈને ૯૧,૧૦૦ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે કુલ ૫૪,૦૦૦ હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગફળીના વાવેતરમાં માત્ર ચાર ટકાનો જ વધારો થઈને ૫૬,૬૭૬ હેક્ટરમાં થયું છે. વેપારીઓના મતે વાવેતર બમણું થવાનો અંદાજ હતો, પંરતુ વાવેતર ગત વર્ષ જેટલું જ થયું છે.

ગુજરાતમાં કઠોળ પાકનું વાવેતર આ વર્ષે સારી માત્રામાં વધ્યું છે. મગના વાવેતરમાં ૪૨ ટકા અને અડદના વાવેતરમાં ૨૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.

business news