13 October, 2021 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જીએસટી નેટવર્કે મંગળવારે જણાવ્યા મુજબ એણે જીએસટી હેઠળ નોંધાયેલા ૬૬,૦૦૦ બિઝનેસની ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ (આઇટીસી) અટકાવી દીધી છે.
માહિતી પ્રાપ્તિના અધિકારના કાયદા હેઠળ મળેલા પ્રત્યુત્તરના આધારે સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ આવી હતી એ સંબંધે જીએસટી નેટવર્કે ટ્વીટ દ્વારા કહ્યું હતું કે જીએસટી કાયદાના નિયમ ક્રમાંક ૮૬એ હેઠળ ૬.૧૪ લાખ કરોડ રૂપિયાની આઇટીસી અટકાવી દેવામાં આવી હતી. આ આંકડામાં કરદાતાઓએ ભૂલથી કરેલી ડેટા એન્ટ્રીનો સમાવેશ થાય છે. નેટવર્કે વધુમાં જણાવ્યું હતું કે આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની આઇટીસી આજની તારીખ સુધી બ્લૉક કરી દેવાઈ છે. તમામ કરદાતાઓએ સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન પ્રાપ્ત કરેલી સરેરાશ આઇટીસીના માત્ર ૦.૩૮ ટકા જેટલી આ રકમ હોવાનું તેણે નોંધ્યું છે.
જો જીએસટીના અધિકારીને લાગે કે છેતરપિંડી દ્વારા આઇટીસી પ્રાપ્ત કરવામાં આવી છે, તો અધિકારી નિયમ ૮૬એ હેઠળ એને અટકાવી શકે એવો નિયમ સરકારે ડિસેમ્બર ૨૦૧૯માં ઘડ્યો હતો.