13 May, 2021 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મગફળી
ગુજરાત સરકારે ચાલુ વર્ષના પાકનો ત્રીજો આગોતરો અંદાજ જાહેર કર્યો હતો, જેમાં ઉનાળુ પાકનો અંદાજ પહેલીવાર જાહેર થયો છે જે મુજબ ગુજરાતમાં ઉનાળુ મગફળીનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ ઘટવાનો અંદાજ છે. જોકે તલના વાવેતર વિસ્તારના આંકડાઓ સરકારે ખોટા અંદાજ્યા હોવાથી તેના ઉત્પાદનના આંકડાઓ ખૂબ જ નીચા આવ્યા છે. ગુજરાત સરકારના ત્રીજા આગોતરા અંદાજ મુજબ રાજ્યમાં મગફળીનું ઉત્પાદન છ ટકા ઘટીને ૧.૩૪ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૧.૪૨ લાખ ટનનું થયું હતું. આ તરફ તલનું વાવેતર ગુજરાતમાં બમણાંથી પણ વધારે છે, પરંતુ સરકારી સત્તાવાર અંદાજો મુજબ માત્ર નવ ટકાનો જ વધારો છે. ગત વર્ષ અને છેલ્લાં ત્રણ વર્ષની એવરેજને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષના વાવેતરનો અંદાજ કાઢીને આગોતરો અંદાજ મુકાય છે, જેની સામે ચાલુ વર્ષે તલનું વાવેતર ખરેખર ખૂબ જ વધ્યું છે.