આજથી બદલાયા છે આ નિયમો, તમારા માટે જાણવું છે ખાસ જરૂરી

01 November, 2019 01:44 PM IST  |  મુંબઈ

આજથી બદલાયા છે આ નિયમો, તમારા માટે જાણવું છે ખાસ જરૂરી

આજથી અમલમાં આવ્યા નવા નિયમો

આજથી અનેક નિયમોમાં ફેરફાર થયા છે જે સામાન્ય લોકોને પ્રભાવિત કરનારા છે. જેમાં રાંધણ ગેસના ભાવથી લઈને ફિક્સ ડિપૉઝિટ પર વ્યાજ દર અને ટોલ ટેક્સ પણ સામેલ છે. કેટલાક નિયમોથી સામાન્ય લોકોને ફાયદો થશે તો કેટલાક સામાન્ય લોકો પર ભારે પડશે. આજથી લાગૂ થનારા નિયમોની જાણકારી તમામ લોકોને હોવી જરૂરી છે.

ઘટ્યું ડિપોઝિટ પર વ્યાજ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં આજથી ડિપોઝિટ પરની વ્યાજ દરો બદલાઈ ગયા છે. એસબીઆઈમાં હવે એક લાખ રૂપિયા સુધીના ડિપોઝિટ પર વ્યાજ દર 0.25 ટકા ઘટીને 3.25 ટકા રહી ગયો છે. તો એક લાખથી વધુની ડિપોઝિટના વ્યાજ દરને રેપો રેટ સાથે જોડી દેવામાં આવ્યો છે, જે હવે 3 ટકા છે. આ નિર્ણયની અસર 42 કરોડ ગ્રાહકો પર પડશે.

લોન પર ઘટ્યો વ્યાજદર
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ લોન પર પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. હવે નવો વ્યાજ દર 8.05 ટકા થઈ ગયો છે. જે પહેલા 8.15 ટકા હતો. બેંકે આ નિર્ણય આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ લીધો છે.

મોંઘો થયો રાંધણ ગેસ
આજથી દેશના અનેક મહાનગરોમાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. આ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હોય તેવો ત્રીજો મહિનો છે. સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં લગભગ 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીની વાત કરીએ તો અહીં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 681.50 રૂપિયા થઈ ગઈ છે. તો કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં તેની કિંમત 706, 651 અને 696 રૂપિયા છે.

મોટા વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટ અનિવાર્ય
આજથી મોટા વેપારીઓ માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા આપવી ફરજિયાત થઈ ગઈ છે. હવે 50 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્ન ઑવર ધરાવતા વેપારીઓએ પોતાના ગ્રાહકો માટે ઓછી રકમની ચુકવણી મીટે ડિજિટલ માધ્યમની સુવિધા આપવી પડશે.

વધ્યો ટોલ ટેક્સ
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર આજથી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં કાર, જીપ, વાન અને હલકા વાહનો માટે એક સાઈડનો ટોલ 125 રૂપિયા અને બંને સાઈડનું ટોલ 200 રૂપિયા થઈ ગયો છે. સાથે માસિક પાસ પણ મોંઘા થયા છે.

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

બેંકોનો બદલ્યો ટાઈમ
મહારાષ્ટ્રમાં આજથી બેંકોનો ખુલવાનો અને બંધ થવાનો ટાઈમ બદલી ગયો છે. રાજ્યમાં આજથી તમામ બેંકનું એક જ ટાઈમ ટેબલ થઈ ગયું છે. હવે અહીં બેંકોનો ખુલવાનો સમય સવારે 9 વાગ્યાનો અને કામકાજ બંધ થવાનો સમય 4 વાગ્યાનો થઈ ગયો છે. જેમાં અપવાદરૂપ કેટલાક બેંકો એવા પણ છે જે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.

reserve bank of india business news