ખાદ્ય તેલની આયાત માર્ચમાં ફરી વધી : ફેબ્રુઆરી કરતાં 20 ટકા વધી

16 April, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સનફ્લાવર તેલની આયાત ૨૭ ટકા વધી, રિફાઇન્ડ પામોલીનની ૫૮ ટકા ઘટી

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી ખાદ્ય તેલની આયાત માર્ચમાં ફરી વધી છે અને આગલા માસની તુલનાએ ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. સોલ્વન્ટ એક્સટ્રેકટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે ખાદ્ય તેલની કુલ આયાત માર્ચ મહિનામાં ૯.૫૭ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ૭.૯૬ લાખ ટનની થઈ હતી. આમ ૨૦ ટકાનો વધારો થયો છે.

સીના આંકડાઓ પ્રમાણે માર્ચ મહિનામાં રિફાઇન્ડ પામોલીનની આયાતમાં ૫૮ ટકાનો ઘટાડો થઈને માત્ર ૨૫૦૦ ટનની જ થઈ છે, જ્યારે ક્રૂડ પામતેલની આયાત ૩૨ ટકા વધીને ૫.૦૬ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ૩.૮૪ લાખ ટનની આયાત થઈ હતી.

દેશમાં ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બર-૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ દરમિયાન ખાદ્ય તેલની કુલ આયાત ૫૨.૪૦ લાખ ટનની થઈ છે, જે આગલા વર્ષે ૫૩.૯૬ લાખ ટનની થઈ હતી. આમ બેથી અઢી ટકાનો ઘટાડો ચાલુ વર્ષે જોવા મળ્યો છે. માર્ચ ૨૦૨૦માં ખાદ્ય તેલની કુલ આયાત ૯.૪૧ લાખ ટનની થઈ હતી, જે પણ ચાલુ વર્ષે નજીવી વધીને ૯.૫૭ લાખ ટનની થઈ છે.

દેશનાં પોર્ટ પર ખાદ્ય તેલોના સ્ટૉકની સ્થિતિ
દેશનાં પોર્ટ પર પહેલી એપ્રિલના ખાદ્ય તેલનો કુલ સ્ટૉક ૪.૬૩ લાખ ટનનો છે, જેમાં ૧.૮૦ લાખ ટન ક્રૂડ પામતેલ, રિફાઇન્ડ પામોલીનનો ૩૦૦૦ ટન, સોયાતેલનો ૧.૪૦ લાખ ટન, સનફ્લાવરનો ૧.૪૦ લાખ ટનનો સ્ટૉક છે, જ્યારે ૧૨.૨૪ લાખ ટનનો સ્ટૉક પાઇપલાઇનમાં છે.

business news