20 September, 2022 04:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહેલી ઑક્ટોબરથી શરૂ થનારી આગામી ખાંડની સીઝન માટેની નિકાસનીતિ અંગે ઉત્તર ભારતીય ખાંડ ઉદ્યોગ અને દરિયાકાંઠાનાં રાજ્યો પોતાની જરૂરિયાત મુજબ સરકાર પાસે માગણી કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ ખાંડ ઉદ્યોગે મિલ મુજબના નિકાસ ક્વોટાની ફાળવણીની માગ કરી છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતની શુગર મિલો ખાંડની નિકાસ માટે ઓપન જનરલ લાઇસન્સ પૉલિસી માટે દબાણ કરવા માટે તૈયારી કરી રહી છે. બહુવિધ વૈશ્વિક પરિબળોને કારણે ભારતીય ખાંડ મિલોની નિકાસ ઝડપથી થઈ શકે એ માટે ઓપન જનરલ લાઇસન્સની તરફેણ વધારે થઈ રહી છે.
દેશની કુલ ખાંડની નિકાસમાં ગત વર્ષે મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકાથી વધુ હતો. ઉત્તર પ્રદેશ ખાંડની શુગર મિલો ફક્ત તેમનો નિકાસ ક્વોટા વેચવામાં રસ ધરાવે છે, કારણ કે બંદરોથી લાંબા અંતરને કારણે નિકાસ તેમના માટે શક્ય નથી, વેસ્ટ ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશનના પ્રમુખ બીબી થોમ્બરે જણાવ્યું હતું. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને અગાઉ ૨૦૨૨-૨૩ માટે મિલ મુજબ મહત્તમ સ્વીકાર્ય નિકાસ ક્વોટા માટે કહ્યું હતું. થોમ્બરેએ જણાવ્યું હતું કે ‘ઓજીએલ નીતિને કારણે ભારત રેકૉર્ડ નિકાસ હાંસલ કરી શકે છે. અમે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા મંત્રીઓ દ્વારા અમારી રજૂઆત મૂકવાનો નિર્ણય કર્યો છે.