10 October, 2020 01:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી જ રહી છે. હવે સંરક્ષણ મંત્રાલયે રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (RNRL)ને આપેલો 2,500 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ રદ કરી દીધો છે. જે અંતર્ગત રિલાયન્સ નેવલને ભારતીય નૌસેના માટે પેટ્રોલિંગ જહાજોની સપ્લાઈ કરવાની હતી, પરંતુ વિલંબને કારણે કોન્ટ્રેક્ટ રદ કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયે બે સપ્તાહ અગાઉ જ આ નિર્ણય કર્યો છે.
ADAG અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે નૌસેના માટે પાંચ પેટ્રોલિંગ જહાજને લઈને 2011માં એક સમજૂતી થઈ હતી. આ સમજૂતી રિલાયન્સ ગ્રુપની તરફથી નિખિલ ગાંધી પાસેથી ગુજરાતના શિપયાર્ડને ખરીદતાં પહેલાં થયો હતો. 2015માં આ ગ્રુપનું નામ પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફફશોર એન્જિનિયરિંગ લિમિટેડ હતું. એ પછી એનું નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કરી દીધું હતું.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ વિરુદ્ધ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની અમદાવાદ બેન્ચમાં નાદારી પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ નાદારીની કાર્યવાહીની પણ અનુમતિ આપી છે. નાણાકીય લેણદારોએ 43,587 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. જોકે રિઝોલ્યુશન પ્રોફેશનલે અત્યારસુધી માત્ર 10,878 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે, બાકી દાવાઓ પેન્ડિંગ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ઓગસ્ટ મહિનામાં 12 કંપનીએ રિલાયન્સ નેવલને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (ઈઓઆઈ) દાખલ કરી હતી. આ કંપનીઓમાં એપીએમ ટર્મિનલ્સ, યુનાઈટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશન (રશિયા), હેજલ મર્કેન્ટાઈલ લિમિટેડ, ચૌગુલે ગ્રુપ, ઈન્ટરપ્સ (અમેરિકા), નેકસ્ટ ઓર્બિટ વેન્ચર્સ, એઆરસીઆઈએલ, આઈએઆરસી, જેએમ એઆરસી, સીએફએમ એઆરસી, ઈવેન્ટ એઆરસી અને ફિયોનિક્સ એઆરસી સામેલ છે.