29 June, 2022 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રેડિટ કાર્ડનો ખર્ચ મે મહિનામાં ૧.૧૩ લાખ કરોડને વટાવી ગયો : રિઝર્વ બૅન્ક
અધિકૃત ડેટા અનુસાર મે મહિનામાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ ૧.૧૩ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે, જે અગાઉના મહિનામાં ૧.૦૫ લાખ કરોડ રૂપિયા હતો. કાર્ડ દ્વારા ખર્ચમાં દર મહિને થતો વધારો આર્થિક પ્રવૃત્તિમાં તેજીનો સંકેત આપે છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના તાજેતરના ડેટા દર્શાવે છે કે ૭.૬૮ કરોડ ક્રેડિટ કાર્ડ ધારકોએ ઑનલાઇન ખરીદી માટે લગભગ ૭૧,૪૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે મે મહિનામાં પૉઇન્ટ ઑફ સેલ (પીઓએસ) મશીન પર સ્વાઇપ દ્વારા આ રકમ ૪૨,૨૨૬ કરોડ રૂપિયા હતી.
વ્યવહારની સંખ્યાના સંદર્ભમાં ક્રેડિટ કાર્ડની ચુકવણીઓ ૧૨.૨ કરોડ ઑફલાઇન અથવા પીઓએસ મશીન સામે ઑનલાઇન ઓછી થઈને ૧૧.૫ કરોડની હતી. ટ્રેન્ડ એ પણ સૂચવે છે કે કાર્ડધારકો ઑફલાઇન માધ્યમ કરતાં સરેરાશ ઊંચા મૂલ્યના વ્યવહાર ઑનલાઇન કરી રહ્યા છે.
ઓછી નિકાસમાગ અને રૂ તેમ જ પરિવહન ખર્ચમાં મોટા વધારાની પણ અસર
ઓછી નિકાસમાગ અને કાચા માલ તેમ જ પરિવહન ખર્ચમાં તીવ્ર વધારાને કારણે આ નાણાકીય વર્ષમાં હોમ ટેક્સટાઇલ્સ ઉત્પાદકો માટે મધ્યમ કાર્યકારી નફાકારકતા લગભગ ૧૩ ટકા થવાની સંભાવના છે એમ એક અહેવાલમાં જણાવાયું છે.
નિકાસમાં ધીમી વૃદ્ધિ અને કપાસ-રૂના ઊંચા ભાવ આ નાણાકીય વર્ષમાં ૧૫૦થી ૨૦૦ બેઝિસ પૉઇન્ટ અથવા લગભગ ૧૩ ટકા જેટલો આ સેક્ટરના નિકાસકારોના ઑપરેટિંગ માર્જિનને અસર કરશે. ડૉલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને વૈશ્વિક ખરીદદારો દ્વારા ચાઇના પ્લસવન નીતિને ટકાવી રાખવાથી નફાકારકતા પરના ફટકાને અમુક અંશે ઘટાડશે એમ ક્રિસિલ રેટિંગ્સના વરિષ્ઠ ડિરેક્ટર મોહિત મખીજાએ જણાવ્યું હતું. આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ભારતીય હોમ ટેક્સટાઇલ નિકાસકારો માટે માગની ગતિ અને બજારહિસ્સો ધીમે-ધીમે પુનઃ સ્થાપિત થવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોમ ટેક્સટાઇલ્સની વૈશ્વિક માગને નજીકના ગાળામાં ફુગાવાને કારણે અસર થવાની ધારણા છે, જેમાં મોટા-બૉક્સ રીટેલરો ઇન્વેન્ટરીની કાપણી કરે છે અને ગ્રાહકો વિવેકાધીન ખર્ચમાં ઘટાડો કરે છે.
ઈવાય ઇન્ડિયા-એસઈડી ફન્ડના અહેવાલનું તારણ : ૫૦ અબજ લિટર ડીમિનરાઇઝ્ડ વૉટર સપ્લાય જોઈશે
ઈવાય ઇન્ડિયા-એસઈડી ફન્ડના અહેવાલ મુજબ ૨૦૩૦ સુધી ૫૦ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતને ૧૧૫ ગીગાવૉટ રિન્યુએબલ પાવર ઉત્પાદનક્ષમતા અને ૫૦ અબજ લિટર ડીમિનરાઇઝ્ડ વૉટર સપ્લાયની જરૂર પડશે. આ દાયકામાં ઔદ્યોગિક ફીડ સ્ટૉક-આધારિત ઍપ્લિકેશનો ગ્રીન હાઇડ્રોજનની માગને આગળ વધારશે. ગ્રીન અને ગ્રે હાઇડ્રોજન ઉત્પાદન વચ્ચેની ભાવની સમાનતા સંક્રમણની ઝડપ-સ્કેલ નક્કી કરશે, બૅન્ગલોરમાં ‘નેટ ઝીરો ઇન્ડિયા માટે ગ્રીન ન્યુ એનર્જી’ પર સીઆઇઆઇની કૉન્ફરન્સમાં રજૂ કરાયેલા ફન્ડરિપોર્ટ ‘ઍક્સિલરેટિંગ ગ્રીન હાઇડ્રોજન ઇકૉનૉમી’માં જણાવ્યું હતું.
ડિવિડન્ડ સ્ટૉકના બજારમૂલ્યના બે ટકા અથવા એનાથી વધુ હોય એને ઍડ્જસ્ટમેન્ટ લાગુ પડશે
કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ મંગળવારે ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (એફઍન્ડઓ) સ્ક્રિપ્સમાં ડિવિડન્ડ માટે નવા ઍડ્જસ્ટમેન્ટ નિયમો બહાર પાડ્યા હતા.
સેબીસે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ડેરિવેટિવ કૉન્ટ્રૅક્ટ્સમાં ઍડ્જસ્ટમેન્ટ એવા કિસ્સામાં કરવામાં આવશે જ્યાં જાહેર કરાયેલા ડિવિડન્ડ અન્ડરલાઇંગ સ્ટૉકના બજારમૂલ્યના બે ટકા અથવા એનાથી વધુ હોય. થ્રેશોલ્ડનેપાંચ ટકા અને એનાથી વધુ બે ટકા અને એથી વધુ કરવામાં આવી છે. નવું ફ્રેમવર્ક બુધવારથી લાગુ થશે.
હાલમાં ડિવિડન્ડ જે અંતર્ગત સ્ટૉકના બજારમૂલ્યના પાંચ ટકાથી નીચે છે એને સામાન્ય ડિવિડન્ડ માનવામાં આવે છે અને આવાં ડિવિડન્ડ માટે સ્ટ્રાઇક પ્રાઇસમાં કોઈ ઍડ્જસ્ટમેન્ટ કરવામાં આવતું નથી.
ભારતીય રૂપિયામાં ફરી ઑલટાઇમ નીચી સપાટી જોવા મળી હતી. ભારતીય રૂપિયો ડૉલર સામે મંગળવારે ૪૩ પૈસા નબળો પડ્યો હતો. હવે રૂપિયામાં ૭૯ની સપાટી ટૂંકમાં જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. ભારતીય રૂપિયો ડૉલર સામે મંગળવારે ૭૮.૫૩ની સપાટી પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન નબળો પડીને ૭૮.૮૫ સુધી ગયા બાદ દિવસના અંતે ૭૮.૭૮ બંધ રહ્યો હતો, જે સોમવારે ૭૮.૩૫ પર બંધ રહ્યો હતો. આમ ૪૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. બીએનપી પરિબાના રિસર્ચ ઍનલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું કે નબળી સ્થાનિક ઇક્વિટી અને ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળા વચ્ચે ભારતીય રૂપિયો યુએસ ડૉલરની સામે ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો હતો. વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી પણ રૂપિયા પર ઘટાડાનું દબાણ રહે છે. સ્થાનિક બજારોમાં જોખમ ટાળવા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચાણના દબાણને કારણે રૂપિયો નકારાત્મક રીતે જોવા મળે એવી ધારણા છે.
દેશમાંથી બાસમતી અને નૉન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પહેલા મહિના એપ્રિલમાં સત્તાવાર રીતે ગયા વર્ષની તુલનાએ અનુક્રમે ૧૧ ટકા અને ૨૦ ટકા જેવી ઘટી છે. બીજી તરફ સ્થાનિક બજારમાં હાલ બાસમતી ચોખાના ભાવ સરેરાશ મજબૂત બોલાઈ રહ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા મહિના એપ્રિલમાં બાસમતી ચોખાની નિકાસ ૧૧.૧૭ ટકા ઘટીને ૩.૧૮ લાખ ટનની થઈ છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૩.૫૮ લાખ ટનની થઈ હતી.
નૉન-બાસમતી ચોખાની નિકાસ એપ્રિલમાં ૧૯.૬૯ ટકા ઘટીને ૧૩.૫૪ લાખ ટનની થઈ છે, જે આગલા વર્ષે એપ્રિલ મહિનામાં ૧૬.૮૬ લાખ ટનની થઈ હતી.
મૂલ્યની રીતે એપ્રિલ મહિનામાં બાસમતી ચોખાની નિકાસ ૨૪૫૭ કરોડની થઈ છે, જે ગયા વર્ષે ૨૨૨૫ કરોડની થઈ હતી, જ્યારે નૉન-બાસમતી ચોખાની નિકાસ ૩૬૮૭ કરોડની થઈ છે, જે એપ્રિલ ૨૦૨૧માં ૪૪૪૫ કરોડ રૂપિયાની થઈ હતી.