ન્યુઝ શૉર્ટમાં: કમિશન પાછું આપશે એચડીએફસી બૅન્ક, વાંચો બીજા સમાચાર

18 June, 2021 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑટો લોનની સાથે જીપીએસ ડિવાઇસ આપવાની ગેરરીતિના કેસમાં એચડીએફસી બૅન્કે ગ્રાહકોને જીપીએસ ડિવાઇસનું કમિશન પાછું આપવાની જાહેરાત કરી છે

બીએસઈ

કમિશન પાછું આપશે એચડીએફસી બૅન્ક
ઑટો લોનની સાથે જીપીએસ ડિવાઇસ આપવાની ગેરરીતિના કેસમાં એચડીએફસી બૅન્કે ગ્રાહકોને જીપીએસ ડિવાઇસનું કમિશન પાછું આપવાની જાહેરાત કરી છે. ગ્રાહકો પાસેથી છ વર્ષ સુધી આ કમિશન લેવામાં આવ્યું હતું.  ગ્રાહકો સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઑનલાઇન થયા બાદ બૅન્કના તત્કાલીન વડા આદિત્ય પુરીએ કબૂલ્યું હતું કે આ ગરબડ થઈ છે. રિઝર્વ બૅન્કે આ ચૂક બદલ બૅન્કને ૧૦ કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. 

ખાદીનું વેચાણ ૧૬ ટકા ઘટી ગયું
વર્ષ ૨૦૨૦-’૨૧માં ખાદીનું વેચાણ ૧૬ ટકા ઘટીને ૩૫૨૭.૭૧ કરોડ રૂપિયા થયું હતું, કેમ કે કોવિડ-19 રોગચાળાને કારણે દેશભરની કાંતણ અને વણાટ પ્રવૃત્તિઓને અસર થઈ હતી, એમ એમએસએમઇ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું ખાદી ક્ષેત્રનું એકંદર ઉત્પાદન પણ વર્ષ ૨૦૨૦-‘૨૧માં ઘટીને ૧૯૦૪.૪૯ કરોડ રૂપિયા થયું હતું. તેની સરખામણીએ ૨૦૧૯-’૨૦માં ઉત્પાદન ૨૨૯૨.૪૪ કરોડ રૂપિયા હતું. ખાદી ક્ષેત્રે ઉત્પાદન અને વેચાણમાં થોડો ઘટાડો થયો હતો, કારણ કે દેશભરમાં કાંતણ અને વણાટની પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો હતો. 

ભારતીય અર્થતંત્રનો એપ્રિલથી જૂનના ગાળાનો વૃદ્ધિદર ૧૨ ટકા ઘટવાની ધારણા : યુબીએસ
એપ્રિલ અને મે મહિનામાં અમુક રાજ્યોમાં લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે અર્થતંત્રના વૃદ્ધિદરમાં ૧૨ ટકા ઘટાડો થયો હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. બ્રોકરેજ કંપની યુબીએસ સિક્યૉરિટીઝ ઇન્ડિયાએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ૧૨ ટકાના ઘટાડાને પગલે હવે અર્થતંત્રમાં તીવ્ર ઉછાળો આવવાની શક્યતા ઘટી જશે એવું લાગે છે. પાછલા વર્ષે લૉકડાઉન પૂરું થયા બાદ ઊંચો ઉછાળો આવ્યો હતો, પરંતુ આ વખતે આવી સંભાવના નથી, કારણ કે લોકો ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે ચિંતિત છે. ગ્રાહકોનું માનસ નબળું જણાય છે. આ બ્રોકિંગ કંપનીનું કહેવું છે કે જૂન બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ આવશે, પણ ખરો સુધારો તો ઑક્ટોબરથી માર્ચના ગાળામાં જ આવશે. આ વખતે તીવ્ર ઉછાળાને બદલે ધીમે ધીમે સુધારો થતો જશે. અહીં જણાવવું રહ્યું કે ગયા નાણાકીય વર્ષમાં એપ્રિલથી જૂનના ગાળામાં વૃદ્ધિદર ૨૩.૯ ટકા ઘટ્યો હતો. ત્યાર બાદના ક્વૉર્ટરમાં ઘટાડો ૧૭.૫ ટકા રહ્યો હતો. વર્ષના અંતે એકંદર ઘટાડો ૭.૩ ટકા હતો. 

બંધ પડેલી છ યોજનાઓના રોકાણકારોને ૧૭,૭૭૭ કરોડ રૂપિયા પાછા અપાયા : ફ્રેન્કલિન ટેમ્પલ્ટન
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફન્ડે ગુરુવારે જણાવ્યા મુજબ તેણે પોતાની બંધ કરી દેવાયેલી છ ડેટ સ્કીમના રોકાણકારોને ૧૫ જૂન સુધીમાં ૧૭,૭૭૭ કરોડ રૂપિયા પરત કર્યા છે. ૨૩ એપ્રિલ, ૨૦૨૦ના રોજ આ ફન્ડ હાઉસે તેની છ ડેટ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમને બંધ કરી દીધી હતી. એ વખતની ઍસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ)માંથી ૭૧ ટકા રકમ યુનિટધારકોને પાછી કરાઈ છે. ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે ૧૫ જૂન સુધીમાં વધારાની ૫૮૦ કરોડ રૂપિયાની રોકડ વિતરણ માટે ઉપલબ્ધ હતી. ફ્રેન્કલિન ઇન્ડિયા લો ડ્યુરેશન ફન્ડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ડાયનેમિક એક્રુઅલ ફન્ડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફન્ડ, ફ્રેન્કલિન ઇન્ડિયા શૉર્ટ ટર્મ ઇન્કમ પ્લાન, ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શૉર્ટ બૉન્ડ ફન્ડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા ઇન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફન્ડ નામની છ યોજનાઓ બંધ કરી દેવાઈ ત્યારે બધી મળીને અંદાજે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની એયુએમ હતી. 

business news