04 December, 2021 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રદીપ શાહ
નૅશનલ અસેટ રીકન્સ્ટ્રક્શન કંપની લિ. (એનએઆરસીએલ)ના ચૅરમૅન તરીકે સરકારે પ્રદીપ શાહની નિમણૂક કરી છે. પ્રદીપ શાહ હાલ ઇન્ડએશિયા ફન્ડ અૅડ્વાઇઝર્સના સ્થાપક-ચૅરમૅન છે.
તેમણે દેશની સૌપ્રથમ રેટિંગ એજન્સી ક્રિસિલની પણ સ્થાપના કરી હતી. સ્વચ્છ ટ્રેક રેકૉર્ડ ધરાવતા પ્રદીપ શાહ ફાઇનૅન્શિયલ સેક્ટરમાં અનેકવિધ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે.
દરમ્યાન સરકારે આદિત્ય બિરલા અસેટ રીકન્સ્ટ્રક્શન કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સંજય જૈનને ઇન્ડિયા ડેટ રિઝૉલ્યુશન કંપનીના ચીફ અૅક્ઝિક્યુટિવ તરીકે નિમ્યા છે. આ બન્ને કંપનીઓ મળીને બૅડ લોન્સનો રચનાત્મક ઉપાય કરશે.
બૅન્કોની ઊંચી બૅડ લોન્સ કે એનપીએ (નોન-પર્ફોમિંગ અસેટ્સ) કાયમ સરકાર અને બૅન્કો પર બોજ રહી છે, જેના ઉકેલ માટે વર્ષોથી પ્રયાસ થતા રહ્યા છે. હવે સરકારે આ બે કંપનીની સ્થાપના મારફત તેનો માર્ગ વધુ નક્કર બનાવ્યો હોવાનું કહી શકાય. આ કંપનીઓ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે.
એનએઆરસીએલ બૅડ લોન્સનો ઝડપી કાર્યક્ષમ નિકાલ લાવશે, જે લોન્સ બૅન્કોમાં એમ ને એમ પડી હોય છે તેનો કોઈ ઉપયોગ થતો નથી. આપણા જેવા દેશમાં આવી રીતે અબજો રૂપિયાની સંપત્તિ વણવપરાયેલી કે બિનઉત્પાદક સ્વરૂપે પડી રહે તે ચાલી શકે નહીં. એનએઆરસીએલ આ બૅડ લોન્સ ખરીદી લેશે અને આઇડીઆરસીએલ તેનો નિકાલ કરી નાણાંની રિકવરી કરશે. બૅન્કોની બૅલેન્સ શીટ આને પરિણામે ચોખ્ખી થશે, જેથી બૅન્કોની પર્યાપ્ત મૂડીનાં ધોરણો સુધરશે અને ધિરાણની ક્ષમતા વધશે.