03 June, 2019 11:30 AM IST | નવી દિલ્હી
અજય સિંહ
સ્પાઇસજેટ નાણાભીડમાં સપડાયેલી અને છેલ્લા થોડા મહિનાથી ઠપ થઈ ગયેલી જેટ ઍરવેઝના ૨૦૦૦ જેટલા કર્મચારીઓને નોકરી પર રાખવાનું વિચારી રહી છે. જેટ ઍરવેઝના પાઇલટ અને કેબિન-ક્રૂ સહિતના સ્ટાફને સ્પાઇસજેટ રોજગારી પૂરી પાડશે.
બજેટ ઍરલાઇન સ્પાઇસજેટે તાજેતરમાં જેટ દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાતાં બાવીસ પ્લેન લીધા છે. જેટ ઍરવેઝ ગંભીર નાણાભીડમાં સપડાતાં એપ્રિલથી કામગીરી ઠપ થઈ ગઈ છે. અમે અત્યાર સુધીમાં જેટમાંથી ૧૧૦૦ લોકોને નોકરી પર લીધા છે. આગામી સમયમાં ૨૦૦૦ લોકોને નોકરી પર રાખવાની વિચારણા છે એમ સ્પાઇસજેટના ચૅરમૅન અને એમડી અજય સિંહે જણાવ્યું હતું.
આ પણ વાંચો : આ બેંકોની હોમ લોનથી સૌથી સસ્તી, EMI નહીં બને બોજ
પ્રવર્તમાન સમયે સ્પાઇસજેટ પાસે ૧૪ હજાર જેટલો સ્ટાફ છે અને ૧૦૦ જેટલાં વિમાનનો કાફલો ધરાવે છે. ઍરલાઇન દૈનિક ધોરણે ૫૭૫ જેટલી ફ્લાઇટ્સનું સંચાલન કરે છે જેમાં ૯ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામેલ છે. સ્પાઇસજેટની નાણાસ્થિતિ અંગે પૂછતાં સિંહે જણાવ્યું હતું કે હાલમાં કંપનીનો ફન્ડ એકત્ર કરવાનો કોઈ વિચાર નથી અને કંપની આર્થિક દૃષ્ટિએ સારું પ્રદર્શન કરી રહી છે.