રિઝર્વ બૅન્ક પ્રવાહિતાને સપોર્ટ આપવાનું ચાલુ રાખશે

29 December, 2018 08:45 AM IST  | 

રિઝર્વ બૅન્ક પ્રવાહિતાને સપોર્ટ આપવાનું ચાલુ રાખશે

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા

ILFSની પેમેન્ટ ક્રાઇસિસને પગલે ફાઇનૅન્શિયલ કંપનીઓમાં પ્રવાહિતાની સમસ્યા સર્જા‍ઈ હોવા છતાં રિઝર્વ બૅન્કે કહ્યું છે કે NBFCનો ગ્રોથ ચાલુ રહેશે અને એમની પ્રવાહિતાની સમસ્યાને હળવી કરાશે. આ ખાતરી રિઝર્વ બૅન્કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી આપી છે.

રિઝર્વ બૅન્કે બહાર પાડેલા એના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર ILFS અને એની સબસિડિયરીઝ તરફથી સંખ્યાબંધ ડિફૉલ્ટ થયા હોવા છતાં રિઝર્વ બૅન્ક NBFCના વિકાસ માટે આશાવાદી છે અને એને પ્રવાહિતાની સમસ્યા નડવા દેશે નહીં.

કમર્શિયલ બૅન્કોના ૧૫ ટકા જેટલો હિસ્સો ધરાવતી NBFC સતત દબાણ વચ્ચે પણ વિકાસ કરતી રહી છે. જ્યારે જાહેર ક્ષેત્રની બૅન્કો હાલ ધિરાણમાં પાછળ યા મંદ પડી રહી છે ત્યારે NBFC આ કામ સંભાળી રહી છે. એ ધિરાણના મજબૂત વિકલ્પ તરીકે કામ કરી રહી છે.

ડીમૉનેટાઇઝેશન તેમ જ GST અસર વચ્ચે પણ NBFC સેક્ટરે સારો વિકાસદર નોંધાવ્યો છે અને એમની બૅલૅન્સશીટ પણ સારી રહી છે એવું રિઝર્વ બૅન્કના અહેવાલમાં નોંધાયું છે. આ સેક્ટરમાં ધિરાણક્ષમતા વધી છે, એના તરફથી ધિરાણનું પ્રમાણ પણ વૃદ્ધિ પામ્યું છે. ખાસ કરીને રીટેલ અને ઑટો લોનમાં તેમણે સક્રિય કામગીરી બજાવી છે.

RBIએ સિટી કો-ઑપરેટિવ બૅન્કના ડિપોઝિટરોના ઉપાડની લિમિટ વધારી

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ સિટી કો-ઑપરેટિવ બૅન્ક લિમિટેડ, મુંબઈના ડિપોઝિટરોની ઉપાડની મર્યાદાને હાલના ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦ રૂપિયા કરી છે. આ સહકારી બૅન્કની નાણાકીય સ્થિતિ નબળી પડતાં RBIએ એપ્રિલ મહિનામાં ડિપોઝિટરો માટે ઉપાડની મર્યાદા ૧૦૦૦ રૂપિયા કરવાની સાથે કેટલાંક નિયંત્રણો આ બૅન્ક પર લાદ્યાં હતાં.

RBIએ એપ્રિલના આદેશમાં સુધારો કરતાં જણાવ્યું છે કે બચત ખાતા અથવા કરન્ટ અકાઉન્ટ અથવા ટર્મ ડિપોઝિટ અકાઉન્ટ કે અન્ય કોઈ ડિપોઝિટ અકાઉન્ટમાંથી ડિપોઝિટરને વધુમાં વધુ ૫૦૦૦ રૂપિયાનો ઉપાડ કરવા દેવાશે.

આ પણ વાંચો : NBFC-HFC ક્ષેત્રના મોવડીઓએ પીએમને સુધારા માટે સૂચનો કર્યાં

જોકે RBIએ ઉમેર્યું છે કે આ સુધારાનો અર્થ એ નથી થતો કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બૅન્કની નાણાકીય સ્થિતિમાં આવેલા નોંધપાત્ર સુધારાથી સંતુષ્ટ છે. સિટી કો-ઑપરેટિવ બૅન્ક રિઝર્વ બૅન્કની પૂર્વમંજૂરી વિના કોઈ નવી લોનો કે ઍડવાન્સિસ આપી શકે કે રોકાણ કરી શકે નહીં અને રિઝર્વ બૅન્કના ૧૭ એપ્રિલના આદેશમાં નોટિફાય કર્યા સિવાયની કોઈ પ્રૉપર્ટી વેચી શકશે નહીં.

reserve bank of india