20 October, 2019 11:40 AM IST | વૉશિંગ્ટન
આઇએમએફ
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે કૉર્પોરેટ ટઈક્સ ઘટાડવાના ભારતના નિર્ણયને એમ કહીને સમર્થન આપ્યું છે કે આ પગલું દેશમાં રોકાણ માટે સકારાત્મક છે. જોકે ભારતે રાજકોષીય ઘનિભવનને લગતા પ્રશ્નના ઉકેલ માટે કામગીરી આગળ જાળવી રાખવી જોઈએ તેમ જ લાંબા ગાળા માટે રાજકોષીય સ્થિરતાને સુરક્ષિત કરવી જોઈએ એમ નાણાસંસ્થાએ જણાવ્યું હતું.
અમારું માનવું છે કે ભારત હજી પણ મર્યાદિત રાજકોષીય અવકાશને લીધે હજી પણ ભારતે વિશેષ કાળજી રાખવી જોઈએ. ભારતે કૉર્પોરેટ ઇન્કમ-ટૅક્સમાં ઘટાડો કર્યો એને અમે ટેકો આપીએ છીએ, કારણ કે એની રોકાણ પર સકારાત્મક અસર થઈ છે. ભારતમાં અંતિમ બે ત્રિમાસિક ગાળામાં મંદીને લીધે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૬.૧ ટકા વૃદ્ધિ નોંધાવે અને ૨૦૨૦માં એ વધીને ૭.૦ ટકા થઈ શકે છે એમ આઇએમએફના એશિયા અને પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ચાંગયોંગ રીએ જણાવ્યું હતું.
આઇએમએફે કહ્યું છે કે ‘રાજકોષીય નીતિને લગતાં પગલાં અને કૉર્પોરેટ ટૅક્સ ઘટવાથી ભારતમાં રોકાણને વેગ મળે એવી આશા છે. આ સાથે ભારતે રાજકોષીય ઘનિભવન પર ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે લાંબા ગાળા માટે રાજકોષીય મોરચે સ્થિરતાને સુનિશ્ચિત કરવી જોઈએ.’
આઇએમએફે એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું હતું કે સંઘીય વ્યવસ્થાના પરિપ્રેક્ષમાં રાજકોષીય ઘનિભવનનો અમલ ખૂબ જ જટિલ હોય છે. રાજકોષીય માળખાના પ્રશ્નોના સ્તર અને પડકારો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હોય છે. આઇએમએફના ડેપ્યુટી ડાયરેક્ટર (એશિયા અને પેસિફિક ડિપાર્ટમેન્ટ) એન્ને-મેરી-ગુલ્ડ એન્ની-મેરી ગુલ્ડ-વોફે કહ્યું છે કે ભારતને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ સેક્ટરની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જોઈએ. જોકે, જાહેર ક્ષેત્રની બૅન્કોને ભંડોળ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોથી બૅન્કિંગ સેક્ટરમાં સુધારાની પ્રક્રિયા જારી રહેશે.