ગયા વર્ષ કરતાં સપ્ટેમ્બરમાં જીએસટીની આવક ઘટી ગઈ

02 November, 2019 01:57 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગયા વર્ષ કરતાં સપ્ટેમ્બરમાં જીએસટીની આવક ઘટી ગઈ

મુંબઈ : ભારતમાં ધીમા પડી રહેલો આર્થિક વિકાસ અને નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કટોકટીને કારણે સપ્ટેમ્બરમાં દેશની જીએસટીની કુલ આવક ૯૫,૩૮૦ કરોડ રૂપિયા રહી છે. સપ્ટેમ્બર મહિનાનો કર વેપારીઓ અને ઉત્પાદકોએ ઑક્ટોબરમાં ભરવાનો હોય છે. જોકે આ આંકડો ઑગસ્ટના ૯૧,૯૧૬ કરોડ રૂપિયા (૧૯ મહિનામાં સૌથી ઓછો) કરતાં વૃદ્ધિ દર્શાવે છે. 

જીએસટી અમલમાં આવ્યા પછી સરેરાશ માસિક કરની આવક ૯૮,૧૧૪ કરોડ રૂપિયા રહી છે જેના કરતાં સપ્ટેમ્બરની કરની ત્રણ ટકા આવક ઓછી રહી છે. ગયા સપ્ટેમ્બર કરતાં આવકમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઑક્ટોબરમાં જીએસટી રિટર્ન ફાઇલ કરનારની સંખ્યા થોડી ઘટીને ૭૩.૮૩ લાખ કરોડ રહી છે. આગલા મહિને આ સંખ્યા ૭૫.૯૪ લાખ હતી. જીએસટીની કુલ આવકમાં કેન્દ્રીય જીએસટી ૧૭,૫૮૨ કરોડ રૂપિયા, રાજ્યોનો જીએસટી ૨૩,૬૭૪ કરોડ રૂપિયા અને આંતરરાજ્ય જીએસટી ૪૬,૫૧૭ કરોડ રૂપિયા રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વળતર આપવા માટે એકત્ર કરેલી કૉમ્પેન્સેશન સેસ ૭૬૦૭ કરોડ રૂપિયા રહી છે.
છ મહિનામાં કરની આવક દાયકામાં સૌથી નીચી
ભારત સરકારની કરની આવક નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર માટે આ વખતે એક દાયકામાં સૌથી નીચી જોવા મળી રહી છે જેને કારણે સરકારની નાણાખાધ જીડીપીના ૩.૩ ટકા નીચે રાખવાનો લક્ષ્યાંક ચૂકી જશે એવું લાગી રહ્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૯-’૨૦ દરમ્યાન ભારતની કુલ કરની આવક માત્ર ૧.૫ ટકા વધીને ૯,૧૯,૪૭૦ કરોડ રૂપિયા રહી છે. ગયા વર્ષે આ વૃદ્ધિદર ૮.૬ ટકા હતો અને ૨૦૦૯-’૧૦ પછી સૌથી નીચો વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે. એ વર્ષે દેશમાં વૈશ્વિક આર્થિક કટોકટીને કારણે સરકારે કરના દરમાં કરેલા ઘટાડાને કારણે કરની આવક ૭.૬ ટકા
ઘટી હતી.
બજેટ ૨૦૧૯-’૨૦ અનુસાર ભારત સરકાર કરની આવકથી ૨૨.૭ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની નેમ ધરાવે છે જે ગયા વર્ષ કરતાં ૧૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

business news goods and services tax