27 May, 2020 12:21 PM IST | New Delhi | Agencies
સાનિયા મિર્ઝા
ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને આ વખતની ઈદની ઉજાણીમાં મજા નથી આવી. જોકે એને માટે અનેક કારણ જવાબદાર હોવાનું તેનું કહેવું છે. સાનિયાએ લોકોને અરજ કરી હતી કે જે લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે તેમને માટે દુઆ કરો. વળી થોડા દિવસ પહેલાં કરાચીમાં થયેલી એક વિમાન-દુર્ઘટનામાં અનેક બેકસૂર લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. સાનિયાએ કહ્યું કે ‘અનેક કારણસર મને આ ઈદ ઉજવવાનું મન નથી થઈ રહ્યું. ચાલો આ ઈદમાં જરૂરિયાતમંદ લોકો વિશે થોડુંક વિચારીએ. જે લોકો ઓછા નસીબદાર છે તેમના વિશે વિચારીએ. જેમણે કોરોનામાં, કરાચીની વિમાન-દુર્ઘટનામાં તેમ જ અન્ય કારણસર જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનો વિશે વિચાર કરીએ અને તેમના પરિવારજનો માટે પ્રાર્થના કરીએ. આ ઈદમાં માનવતા, સ્વાસ્થ્ય, શાંતિ વધારે પ્રેમ અને ઓછી નફરત માટે પ્રાર્થના કરીએ. એકબીજાને બીમાર કરવાના ભયને છોડીને એકબીજાને ગળે લગાડીએ. આ ઈદમાં ઘણાનો આભાર માનવો છે. દૂર રહીને પણ એકબીજાની નજીક આવી એક સારી અને પવિત્ર દુનિયા બનાવવા માટે આપણે સાથે મળીને પ્રયાસ કરીએ. મારા પ્રિય આત્મીય જનો માટે આ ઈદ હું ઘરે રહીને ઊજવું છું અને ઇચ્છું છું કે તમે પણ એવું કરો. બધાને ઈદ મુબારક.’