22 September, 2022 02:01 PM IST | Mohali | Gujarati Mid-day Correspondent
મોહાલીમાં યુવી અને ભજ્જીના નામે સ્ટૅન્ડ
ભારતીય ક્રિકેટમાં તેમ જ પંજાબ ક્રિકેટમાં બે નિવૃત્ત ખેલાડીઓ યુવરાજ સિંહ અને હરભજન સિંહનું અપ્રતિમ યોગદાન રહ્યું છે અને એને ધ્યાનમાં રાખીને પંજાબના મોહાલીના સ્ટેડિયમમાં બે અલગ-અલગ સ્ટૅન્ડને આ બન્ને ગ્રેટ ક્રિકેટર્સનાં નામ આપવામાં આવ્યાં છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ નિમિત્તે આ સ્ટૅન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.
સધર્ન સ્ટૅન્ડને હરભજન સિંહનું અને નૉર્ધર્ન સ્ટૅન્ડને યુવરાજ સિંહનું નામ આપવામાં આવ્યું છે. યુવીએ આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘મોહાલીના સ્ટેડિયમમાં મારા નામના સ્ટૅન્ડના પ્રસંગે પાછા આવવામાં હું બેહદ ખુશી અનુભવી રહ્યો છું. બીસીસીઆઇના બ્લેઝરમાં મારા પોતાના નામના સ્ટૅન્ડમાં આવવાનો મને અપાર આનંદ છે.’ હરભજને પણ બેહદ ખુશી વ્યક્ત કરી હતી.