સ્પિનર્સનો મુકાબલો કરવા ભારતીય બૅટર્સ સ્ટેપ આઉટ ઍન્ડ ડ્રાઇવ કેમ નથી કરતા?

12 March, 2023 01:51 PM IST  |  Mumbai | Yashwant Chad

લેગ સ્પિનર લેગ સ્પિન નાખે કે ગૂગલી, અમે તો બૉલને ટપ્પો પડે ત્યાં જ પહોંચી જઈએ, પછી બૉલને મોકો જ ન મળે સ્પિન થવાનો. પછી ભલેને અમને બૉલ લેગ સ્પિન છે કે ગૂગલી એનાથી કશો ફરક નહોતો પડતો. 

સ્પિનર્સનો મુકાબલો કરવા ભારતીય બૅટર્સ સ્ટેપ આઉટ ઍન્ડ ડ્રાઇવ કેમ નથી કરતા?

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ-મૅચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અમદાવાદની ટેસ્ટ-વિકેટ પણ નાગપુર, દિલ્હી અને ઇન્દોર જેવી ટર્નિંગ વિકેટ હશે એવી અટકળો થઈ રહી છે અને ટેસ્ટ-મૅચ પાંચ દિવસની હોય છે એ તો સિરીઝની પ્રથમ ત્રણ ટેસ્ટ-મૅચ ત્રીજા દિવસે જ પૂરી થઈ ગઈ હોવાથી ક્રિકેટચાહકો ભૂલી જ ગયા હતા એમ કહી શકાય. પ્રથમ બે ટેસ્ટ-મૅચ જીત્યા બાદ ઇન્દોરમાં કાળી અને લાલ માટીના મિશ્રણવાળી પિચ બનાવવામાં આવી ત્યારે શું આપણા ક્રિકેટના સત્તાધીશોને એટલો પણ અંદાજ નહીં હોય કે આપણું હથિયાર આપણને જ ભારે પડી શકે છે, જો હથિયાર વાપરતાં આવડતું ન હોય તો, અને મિત્રો થયું પણ એમ જ. ત્રીજી ટેસ્ટમાં લંચ પહેલાં જ ભારતે ૭ વિકેટ, હા જી, ઑસ્ટ્રેલિયા ટીમે નહીં, ભારતે ગુમાવી દીધી, કારણ કે પિચ લગભગ મૅચના પહેલા બૉલથી જ ટર્ન કરવામાં મદદગાર બની. આપણા સત્તાધીશોને એ પણ યાદ કરાવવું રહ્યું કે ઑસ્ટ્રેલિયાની સ્પિન બોલિંગનો મુકાબલો કરવામાં ભારતીયો કાબેલ ન નીવડ્યા. બૅક ટુ ધ પૅવિલિયન થયા એનું મુખ્ય કારણ સ્પિનરો સામે રમવાની કળા વીસરી ગયા એટલે કે આપણા બૅટર્સ ઘરઆંગણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, સી. કે. નાયડુ વગેરે સ્પર્ધામાં રમે જ નહીં તો ઘરઆંગણેની પિચો પર રમવાનો અનુભવ ક્યારે મળે? તમને જાણીને આશ્ચર્ય થશે કે વિરાટ કોહલી છેલ્લી રણજી ટ્રોફી મૅચ બીજી નવેમ્બરથી પાંચમી નવેમ્બર ૨૦૧૨ એટલે કે આજથી અંદાજે ૧૦ વર્ષ પહેલાં ભારતમાં રણજી ટ્રોફીમાં રમ્યો હતો. સ્પિનરને સ્વર્ગ સમાન વિકેટ પર પૂરતી પ્રૅક્ટિસ મૅચ રમીને અનુભવ મેળવ્યો ન હોય તો સીધા ટેસ્ટ-મૅચમાં સફળતાપૂર્વક સ્પિન બોલિંગ વિરુદ્ધ ફુટવર્કના અભાવે વામણા સાબિત થાઓ એ હકીકત છે.
ફુટવર્કનો અભાવ એટલે શું? ફુટવર્ક એટલે બોલર્સ બોલિંગ કરે ત્યારે બૅટ્સમૅન બૉલનો મુકાબલો કરવા ફૉર્વર્ડ આગળ આવીને રમે અથવા બૅકફુટ પાછળ જઈને રમે. આગળ જવું કે પાછળથી રમવું એ દ્વિધામાં નક્કી ન કરી શકે ને ત્યાં જ ઊભો રહીને હાફ કૉક રમે તો નૅથન લાયન જેવો સારો ઑફ સ્પિનર તો તમને ખાઈ જાય એટલે કે પલકવારમાં બૅક ટુ ધ પૅવિલિયન કરી દે.
 ક્રિકેટરસિયાઓને ભારતીય બૅટર્સનો ઇન્દોર ટેસ્ટ-મૅચમાં લડત આપ્યા વગર સ્પિનરોને મદદગાર પિચ પર આંતરરાષ્ટ્રીય સ્પિનર સામે રમવા જરૂરી આત્મવિશ્વાસનો અભાવ આંખે વળગ્યો છે. તમે કદાચ વિજય મર્ચન્ટ, વિજય હઝારે, પોલી ઉમરીગર વગેરેને રમતા જોયા ન હોય એ સમજી શકાય. તેઓ તો સ્પિનર બોલિંગમાં આવે એટલે સ્ટેપ આઉટ ઍન્ડ ડ્રાઇવ એટલે કે સ્પિન ગોલંદાજી વિરુદ્ધ ક્રીઝ છોડીને બૉલનો જ્યાં ટપ્પો પડે ત્યાં પહોંચી જાય એટલે કે બૉલને ટર્ન થવા જ ન દે. વિજય મર્ચન્ટ તો કહેતા કે લેગ સ્પિનર લેગ સ્પિન નાખે કે ગૂગલી, અમે તો બૉલને ટપ્પો પડે ત્યાં જ પહોંચી જઈએ, પછી બૉલને મોકો જ ન મળે સ્પિન થવાનો. પછી ભલેને અમને બૉલ લેગ સ્પિન છે કે ગૂગલી એનાથી કશો ફરક નહોતો પડતો. 

cricket news sports sports news