24 June, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટર્સને બ્રેક આપવા બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે કે ‘કૅલેન્ડર પર એક નજર નાખો અને તમે જોશો કે ભારત દર મહિને ક્યાંક ને ક્યાંક રમી રહ્યું છે. આપણા ક્રિકેટરોનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પણ મહત્ત્વપૂર્ણ છે અને વર્ષમાં આપણા ખેલાડીઓ માટે એક મહિનાનો સ્પષ્ટ આરામ હોવો જોઈએ.’
સુનીલ ગાવસકર વધુમાં કહે છે, ‘આ વર્ષનું શેડ્યુલ પહેલાંથી જ નક્કી થઈ ગયું છે અને કંઈ બદલી શકાતું નથી, પરંતુ IPL આવતા વર્ષે વહેલી શરૂ થાય અને સમાપ્ત થાય એવો વિચાર છે તો કૃપા કરીને ફક્ત ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મહિનાનો આરામ ઉમેરો.’
સુનીલ ગાવસકરે દરેક મૅચમાં કોઈ ખેલાડીને આરામ આપીને નવા ખેલાડીને ડેબ્યુ કરાવીને ભારતીય કૅપને સસ્તી બનાવવાને બદલે એનું મૂલ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું.