06 September, 2025 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખલીલ અહમદ
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા વિશે ફાસ્ટ બોલર ખલીલ અહમદે મોટી કમેન્ટ કરી છે. રાજસ્થાનમાં જન્મેલા ૨૭ વર્ષના ખલીલ અહમદે કહ્યું હતું કે મને લાગે છે કે રોહિત શર્માએ ભારતીય ક્રિકેટના ભલા માટે આગામી ૧૦ વર્ષ સુધી રમતા રહેવું જોઈએ. ૩૮ વર્ષનો રોહિત શર્મા આગામી ઑસ્ટ્રેલિયન ટૂર પર વન-ડે સિરીઝમાં રમતો જોવા મળશે.
ખલીલ અહમદે વધુમાં કહ્યું હતું કે ‘હાલમાં દુલીપ ટ્રોફી દરમ્યાન સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે હું રોહિત શર્માને મળ્યો ત્યારે તે એકદમ ફિટ દેખાતો હતો. તેથી મેં તેને કહ્યું કે આ રીતે ફિટ રહો અને રમતા રહો. મેં મારા જીવનમાં ભાગ્યે જ તેના જેવો માણસ અને કૅપ્ટન જોયો છે. તે એક રત્ન છે. મને તેના માટે ખૂબ આદર અને પ્રેમ છે.’
ભારતનો સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા હાલમાં ‘મુંબઈ પોલીસચા રાજા’ના પંડાલની મુલાકાત લેવા પહોંચ્યો હતો. ભક્તોની ભીડ વચ્ચે તેણે ગણપતિબાપ્પાનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. પંડાલની બહાર ભેગા થયેલા લોકોએ તેના માટે ‘મુંબઈચા રાજા રોહિત શર્મા’ના નારા પણ લગાવ્યા હતા. હિટમૅને પોતાની રેન્જરોવર કારની ચારેય તરફ ઊમટેલા ફૅન્સનું અભિવાદન કરીને તેમને ખુશ કરી દીધા હતા.