08 June, 2026 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજત પાટીદાર
ભારતના ભૂતપૂર્વ સ્પિન ઑલરાઉન્ડર હરભજન સિંહે બૅક-ટુ-બૅક IPL વિજેતા કૅપ્ટન રજત પાટીદાર માટે અવાજ ઉઠાવ્યો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ભજ્જીએ લખ્યું હતું કે ‘ભારતીય ટીમમાં રજત પાટીદારને સ્થાન ન મળવાથી હું દુખી છું. હજી તેણે શું કરવું પડશે?’ હરભજન સિંહે વધુમાં કહ્યું હતું કે ‘રજત પાટીદારે હાલમાં લગભગ ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૫૦૧ રન કર્યા છે. તેની સાથે આ તો અન્યાય છે. તે ભારતનો સૌથી સારો મિડલ-ઑર્ડર બૅટર છે. તે સૌથી સારી ટેક્નિક ધરાવતો શાનદાર સ્ટ્રાઇકર છે.’ IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૨૦૨૧થી ૫૭ મૅચ રમીને રજત પાટીદારે ૧૬૪.૪૮ના સ્ટ્રાઇક-રેટથી ૧ સદી અને ૧૪ ફિફ્ટી ફટકારીને ૧૬૧૨ રન કર્યા છે. કરીઅરની ૧૧૩ T20 મૅચમાં તેણે ૧૬૦.૦૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૩૮૯ રન કર્યા છે. મિડલ-ઑર્ડરમાં રમીને તેણે ૧ સદી અને ૩૧ ફિફ્ટી નોંધાવી છે.
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને વર્તમાન T20 સ્ક્વૉડના સિલેક્શન પર મોટું નિવેદન આપ્યું છે. રવિચન્દ્રન અશ્વિન કહે છે કે ‘T20 ક્રિકેટમાં અનુભવ, સ્કિલ્સમાં સુધારો અને વારંવાર પોતાની પરિસ્થિતિ મુજબ ઢાળવાની જરૂર હોય છે. સિલેક્શન કમિટીએ જે સિનિયર ક્રિકેટર પોતાની રમતમાં સુધારો કરી રહ્યા છે તેમને વાપસીનો મોકો આપવો જોઈએ.’ રવિચન્દ્રન અશ્વિન વધુમાં કહે છે કે ‘ભુવનેશ્વર કુમારનું T20માં સિલેક્શન પહેલાંથી જ મુશ્કેલ હતું. ઇન્જરી બાદ ટીમમાં વાપસી ન કરી શકનાર મોહમ્મદ શમી જેવો કિસ્સો ભુવી સાથે થવાનો હતો એના સંકેત મળી ગયા હતા. સિલેક્ટર્સ હવે યુવા બોલર્સ પર ધ્યાન આપી રહ્યા છે અને એટલે જ પ્રિન્સ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. સિલેક્શન કમિટી સિનિયર ખેલાડીઓના જૂના ગ્રુપથી આગળ ગયું છે.’ IPL 2026માં ૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારે બૅન્ગલોર માટે ૧૬ મૅચમાં ૭.૯૫ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૨૮ વિકેટ લીધી હતી, જ્યારે ૩૫ વર્ષના મોહમ્મદ શમીએ લખનઉ માટે ૧૩ મૅચમાં ૯ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૧૨ વિકેટ લીધી હતી.