૨૦૨૩ની આઇપીએલ માટે મુંબઈ ઇન્ડિયન્સ ટીમની અત્યારથી પૂર્વતૈયારી

29 June, 2022 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફ્રૅન્ચાઇઝી ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમ્યા હોય એવા ડોમેસ્ટિક પ્લેયર્સને ત્રણ અઠવાડિયાં માટે ઇંગ્લૅન્ડ લઈ જશે

૨૦૨૩ની આઇપીએલ માટે મુંબઈ ઇન્ડિયન્સ ટીમની અત્યારથી પૂર્વતૈયારી

૨૯ મેએ પૂરી થયેલી ૨૦૨૨ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં લીગ રાઉન્ડમાં સાવ છેલ્લા સ્થાને (૧૪ મૅચ, ૪ જીત, ૧૦ હાર, ૮ પૉઇન્ટ, -૦.૫૦૬ રનરેટ) રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમનું ફ્રૅન્ચાઇઝી આગામી વર્ષની સીઝન માટે અત્યારથી સજાગ છે. આ ફ્રૅન્ચાઇઝી ઇન્ટરનૅશનલ ક્રિકેટ ન રમ્યા હોય એવા ડોમેસ્ટિક પ્લેયર્સને ત્રણ અઠવાડિયાં માટે ઇંગ્લૅન્ડ લઈ જશે.
યુકેની આ એક્સ્પોઝર ટૂરમાં એમઆઇના અર્જુન તેન્ડુલકર, તિલક વર્મા, કુમાર કાર્તિકેય વગેરે ખેલાડીઓને વિવિધ અદ્યતન સગવડમાં તાલીમ લેવાનો મોકો અપાશે તેમ જ વિવિધ કાઉન્ટી ટીમો વિરુદ્ધ કુલ ૧૦ ટી૨૦ મૅચ રમશે.
આઇપીએલ સાથે સંકળાયેલા એક સૂત્રએ પી.ટી.આઇ.ને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે ‘અર્જુન તેન્ડુલકર બ્રિટનમાં જ છે. તેને અને સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસને પણ આ ટૂરમાં આવરી લેવાશે. હેડ-કોચ માહેલા જયવર્દનેની આગેવાનીમાં એમઆઇનો સ્ટાફ ઇંગ્લૅન્ડનો પ્રવાસ કરનાર ખેલાડીઓની ફિટનેસ અને પર્ફોર્મન્સમાં સુધારો કરવા પર ધ્યાન આપશે. ભારતીય ડોમેસ્ટિક સીઝન હવે રણજીની ફાઇનલ સાથે પૂરી થઈ છે. ટીમનો કૅપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ તેમ જ અમારી એમઆઇ ટીમના બીજા ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવામાં બિઝી થઈ ગયા છે એટલે અમે અત્યારે ડોમેસ્ટિક પ્લેયર્સને નવી ડોમેસ્ટિક સીઝન પહેલાં બને એટલી પ્રૅક્ટિસ કરાવવા માગીએ છીએ.’
એમઆઇએ આ ટ્રિપ માટે બીસીસીઆઇની પરવાનગી નહીં લેવી પડે. જો એમઆઇના ખેલાડીઓ અન્ય કોઈ ફ્રૅન્ચાઇઝી સામે કે કોઈ વિદેશી ટી૨૦ ટીમ સામે પ્રદર્શનીય મૅચ રમવાની હશે તો જ પરમિશન લેવી પડશે.

કયા પ્લેયર્સને યુકેની ટ્રિપ પર મોકલાશે

એન. ટી. તિલક વર્મા, કુમાર કાર્તિકેય, અર્જુન તેન્ડુલકર, રિતિક શોકીન, મયંક માર્કન્ડે, રાહુલ બુધી, રમણદીપ સિંહ, અનમોલપ્રીત સિંહ, બેસિલ થમ્પી, મુરુગન અશ્વિન, આર્યન જુયલ, આકાશ મેઢવાલ, અર્શદ ખાન અને ડેવાલ્ડ બ્રેવિસને યુકેની ટૂરમાં અદ્યતન તાલીમ લેવા માટે મોકલવામાં આવશે.

sports news cricket news mumbai indians ipl 2022