11 April, 2025 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેયર
IPL 2025માં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમના ફૅન્સ માટે ખરાબ અને સારા સમાચાર સામે આવ્યા છે. નિયમિત કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ કોણીના ફ્રૅક્ચરને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે જેના કારણે ટીમની કમાન ફરી એક વાર ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી છે. ગાયકવાડને ૩૦ માર્ચે રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના શૉર્ટ બૉલથી ઇન્જરી થઈ હતી. ત્યાર બાદ દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સ સામે રમ્યા બાદ પણ તેના હાથનો સોજો ઓછો થયો નહોતો.
૨૦૦૮થી ૨૦૨૩ સુધી CSKનું નેતૃત્વ કરીને પાંચ ટાઇટલ જિતાડનાર ધોની ૨૦૨૩ની ફાઇનલ બાદ પહેલી વાર IPLમાં કૅપ્ટન્સી કરતો જોવા મળશે. ૪૩ વર્ષની ઉંમરે કૅપ્ટન્સી માટે ઊતરીને તે સૌથી ઓલ્ડેસ્ટ કૅપ્ટન તરીકેનો પોતાનો જ જૂનો રેકૉર્ડ તોડશે. ૨૦૨૨માં પણ આ જ રીતે સીઝનની અધવચ્ચે ધોનીને નેતૃત્વ આપવામાં આવ્યું હતું, જ્યારે કૅપ્ટન તરીકેની નિષ્ફળતાને કારણે રવીન્દ્ર જાડેજાએ કૅપ્ટન્સી છોડી હતી.