29 June, 2026 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વૈભવ સૂર્યવંશી (ફાઇલ તસવીર)
આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશીના (Vaibhav Sooryavanshi) ડેબ્યૂની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ શ્રેયસ ઐયર અને ગૌતમ ગંભીરની જોડીએ તેને તક આપી ન હતી. હવે, 0-2 થી શ્રેણીની હાર બાદ, કોચે તેના ડેબ્યૂમાં વિલંબ પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે. વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડ પ્રવાસ દરમિયાન તક કેમ ન મળી. ક્રિકેટ ફેન માટે અત્યારે આ સૌથી મોટો સવાલ છે. ભારતે આયર્લેન્ડ સામેની બંને T20 મેચોમાં તેમની વર્લ્ડ કપ વિજેતા ટીમ ઉતારી હતી, છતાં તેમને 0-2 થી શ્રેણીનો પરાજય થયો હતો. આયર્લેન્ડ જેવી નાની ટીમ સામે આટલી મોટી હાર શરમજનક છે. ક્રિકેટ એક્સપર્ટસ કહે છે કે ટીમ ઇન્ડિયા (Team India) હંમેશા ભવિષ્ય તરફ નજર રાખે છે. આ જ કારણ છે કે ઘણા કેપ્ટન અને ખેલાડીઓને ડ્રોપ કરવામાં આવ્યા છે. તો વૈભવ સૂર્યવંશીના કિસ્સામાં પણ આવો જ નિર્ણય કેમ ન લેવામાં આવ્યો? ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેએ વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂમાં થઈ રહેલા વિલંબનું સાચું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે માત્ર 15 વર્ષનો વૈભવ પણ ટીમના અન્ય ખેલાડીઓની જેમ જ ડેબ્યૂ પહેલાંની સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થશે. કોઈપણ ખેલાડીને ખાસ છૂટ આપવામાં આવતી નથી અને વૈભવ માટે પણ એ જ નિયમ લાગુ પડશે.
સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેએ સ્પષ્ટ કર્યું કે વૈભવ સૂર્યવંશીની પ્રતિભા પર કોઈને શંકા નથી. પરંતુ ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓને લાંબા સમય સુધી તક આપવાની નીતિ પર કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, "વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમાં કોઈ શંકા નથી. પરંતુ સંજુ સેમસન એવા ખેલાડી છે, જેમણે માત્ર ત્રણ મહિના પહેલાં અમને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે આગળ કહ્યું, "સંજુએ IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ખેલાડીઓનો આત્મવિશ્વાસ જળવાઈ રહે અને તેમને સતત તક મળે, તે અમારી પ્રાથમિકતા છે. અમે બધા વૈભવને મેદાન પર રમતા જોવા માટે ઉત્સાહિત છીએ. પરંતુ તેને પણ ટીમના અન્ય ખેલાડીઓની જેમ જ ડેબ્યૂ પહેલાંની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેની પ્રતિભા પર કોઈને જરાય શંકા નથી."
જો ટીમ ઇન્ડિયાનું મેનેજમેન્ટ અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી યથાવત રાખવા માંગતું હોય, તો વૈભવ સૂર્યવંશીને ત્રીજા ક્રમે ઉતારવાનો વિકલ્પ છે. આ સ્થિતિમાં ઈશાન કિશન અથવા તિલક વર્માને બેટિંગ ક્રમમાં નીચે મોકલી શકાય છે. તેના કારણે ટીમનું સંતુલન પણ જળવાઈ રહેશે અને પાંચ નિષ્ણાત બોલરો સાથે મેદાનમાં ઉતરી શકાશે. જો કે, ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે વૈભવને તક આપવા માટે સંજુ સેમસનની જગ્યાએ તેને રમાડવો સૌથી યોગ્ય વિકલ્પ બની શકે છે. આ નિર્ણય સરળ નહીં હોય, પરંતુ ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટને આવો મોટો નિર્ણય લેવો પડી શકે છે.
હવે સૌની નજર 1 જુલાઈથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડ ટી20 સિરીઝ પર રહેશે. આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ ટીમ ઇન્ડિયા માટે આ માત્ર કમબેક કરવાની તક નથી. પરંતુ ભવિષ્યની મજબૂત ટીમ તૈયાર કરવાની પણ આ એક મોટી કસોટી રહેશે. એવામાં હવે સૌની નજર એ વાત પર રહેશે કે ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ વૈભવ સૂર્યવંશીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક આપે છે કે નહીં. અથવા પછી યુવા બેટ્સમેન વૈભવને ડેબ્યૂ માટે હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે.