પુજારાએ ભારતને મુશ્કેલીમાંથી ઉગાર્યું, પણ સેન્ચુરી ચૂકી ગયો

15 December, 2022 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના મુખ્ય પાંચ બોલર્સમાં અશ્વિન, અક્ષર, કુલદીપ, ઉમેશ યાદવ અને સિરાજનો સમાવેશ છે.

ચેતેશ્વર પુજારા ૯૦ રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ ૮૨ રને નૉટઆઉટ હતો.

ચટગાંવમાં ગઈ કાલે ભારતીય કૅપ્ટન કે. એલ. રાહુલે બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટ (સવારે ૯.૦૦ વાગ્યાથી)માં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ ભારતે ઓપનર્સ શુભમન ગિલ (૨૦ રન) તથા ખુદ રાહુલ (૨૨ રન) તેમ જ વિરાટ કોહલી (૧ રન)ની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ પહેલાં રિષભ પંત (૪૬ રન, ૪૫ બૉલ, બે સિક્સર, છ ફોર)ની વળતી લડતથી અને પછી ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા (૯૦ રન, ૨૦૩ બૉલ, ૧૧ ફોર)ના ફાઇટબૅક તેમ જ શ્રેયસ ઐયર (૮૨ નૉટઆઉટ, ૧૬૯ બૉલ, ૧૦ ફોર) સાથે ૨૭૮/૬નો સાધારણ સ્કોર નોંધાવ્યો હતો. 

પુજારા-ઐયરની ૧૪૯ની ભાગીદારી

ખાસ કરીને ચેતેશ્વર પુજારા અને શ્રેયસ ઐયર વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૧૪૯ રનની ભાગીદારીએ ભારતની લાજ રાખી હતી. એક સમયે ભારત ૪૮ રનમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠું, પરંતુ બે મોટી ભાગીદારીએ ભારતને મોટી મુસીબતથી બચાવ્યું હતું.

અક્ષર છેલ્લા બૉલે આઉટ

અક્ષર પટેલ (૧૪ રન, ૨૬ બૉલ, બે ફોર) ગઈ કાલની રમતના અંતિમ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેને સ્પિનિંગ-ઑલરાઉન્ડર મેહદી હસન મિરાઝે એલબીડબ્લ્યુમાં આઉટ કરી દીધો હતો. મિરાઝે કુલ બે વિકેટ લીધી હતી, જ્યારે સૌથી વધુ ત્રણ વિકેટ લેફ્ટ આર્મ સ્પિનર તૈજુલ ઇસ્લામે લીધી હતી. તેણે ગિલને કૅચઆઉટ કરાવ્યા પછી કોહલીનો લેગ બિફોરમાં શિકાર કર્યો હતો અને ૯૭મી ટેસ્ટ રમી રહેલો પુજારા ૧૯મી ટેસ્ટ-સદીથી માત્ર ૧૦ રન દૂર હતો ત્યારે તૈજુલે તેને વારંવાર બીટ કર્યા બાદ ફ્લૅટર બૉલમાં ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

ભારતના મુખ્ય પાંચ બોલર્સમાં અશ્વિન, અક્ષર, કુલદીપ, ઉમેશ યાદવ અને સિરાજનો સમાવેશ છે. જયદેવ ઉનડકટને આ મૅચમાં રમવાનો મોકો નથી મળ્યો. તે ગઈ ટેસ્ટ છેક ૨૦૧૧માં રમ્યો હતો. આજે ભારત ૪૦૦ જેટલો સ્કોર નોંધાવી શકશે? જો એવું થશે તો બંગલાદેશને સસ્તામાં આઉટ કરીને મૅચ પર પ્રભુત્વ જમાવી શકશે.

sports news sports indian cricket team cricket news test cricket cheteshwar pujara kl rahul