19 September, 2026 07:18 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
રાજકોટમાં અન્વય દ્રવિડ, આર્યવીર સેહવાગેની અન્ડર-19 મૅચ ૫૦ને બદલે ૨૦ ઓવરની રમાઈ
રાજકોટમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમો વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ હતી. વરસાદને કારણે વન-ડે ફૉર્મેટની આ મૅચ T20 ફૉર્મેટમાં રમાઈ હતી. ભારતે ૧૮૨/૬નો સ્કોર કર્યો હતો અને જવાબમાં કાંગારૂ ટીમ ૭ વિકેટે ૧૭૫ રન કરીને ૭ રને હાર્યું હતું.
સ્પિન ઑલરાઉન્ડર યશવર્ધન ચૌહાણ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. તેણે ૩૪ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા. તેણે ૪ ઓવરમાં ૨૮ રન આપીને બે વિકેટ પણ લીધી હતી.
ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને વીરેન્દર સેહવાગના દીકરાઓ પહેલી વખત ભારતની અન્ડર-19 ટીમ માટે એક સાથે રમવા ઉતર્યા હતા. રાહુલ દ્રવિડનો નાનો દીકરો અન્વય દ્રવિડ પહેલાં પણ આ ટીમ માટે રમ્યો છે. જ્યારે વીરેન્દર સેહવાગનો મોટો દીકરો આર્યવીર સેહવાગ પહેલી વખત ભારતની જર્સીમાં રમી રહ્યો હતો.
ઓપનિંગ કરવા ઉતરેલા આર્યવીર સેહવાગે ૨૬ બૉલમાં પાંચ ફોરની મદદથી ૨૮ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમવા આવેલા અન્વય દ્રવિડે ૧૮ બૉલમાં બે ફોર અને ત્રણ સિક્સના આધારે ૩૮ રન કર્યા હતા.