શ્રીકાંતે ટીમમાં હર્ષિત રાણાની પસંદગીને લઈને ગૌતમ ગંભીર પર જાહેરમાં ઉઠાવ્યા સવાલ

06 October, 2025 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીકાંત કહે છે કે... કોઈને ખબર નથી કે હર્ષિત રાણા ટીમમાં શા માટે છે

હર્ષિત રાણા IPL 2024માં ગૌતમ ગંભીરની મેન્ટરશિપ હેઠળ કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો

ઑસ્ટ્રેલિયા ટૂર પર ભારતની લિમિટેડ ઓવર્સની ટીમમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાની પસંદગીને લઈને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે વિરોધ નોંધાવ્યો છે. તેણે યુટ્યુબ-ચૅનલ પર હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ મૅનેજમેન્ટની આકરી ટીકા કરી હતી. ગૌતમ ગંભીર સતત સમર્થન આપીને ભારતની તમામ ફૉર્મેટની સ્ક્વૉડમાં તેને રમાડી રહ્યો છે.

શ્રીકાંત કહે છે કે ‘કોઈને ખબર નથી કે હર્ષિત રાણા ટીમમાં શા માટે છે. અમુક પ્લેયર્સ સારું પ્રદર્શન કરે છે કે નહીં એની પરવાહ કર્યા વિના તમે તેમને ટીમમાં પસંદ ન કરી શકો. સૌથી સારું એ રહેશે કે તમે હર્ષિત રાણા જેવા બનો અને ટીમમાં પસંદગી માટે ગંભીરની હામાં હા કહો. જો તમે હર્ષિત રાણા જેવા પ્લેયર્સને વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ના સંભવિત પ્લેયર તરીકે જુઓ છો તો તમારે ટ્રોફીને અલવિદા કરી દેવું પડશે.’

૨૩ વર્ષનો હર્ષિત રાણા IPL 2024માં ગૌતમ ગંભીરની મેન્ટરશિપ હેઠળ કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમ્યો હતો. કલકત્તા માટે તે ૩૪ મૅચમાં ૪૦ વિકેટ લઈ ચૂક્યો છે. નવેમ્બર ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર દિલ્હીના આ બોલરે બે ટેસ્ટ-મૅચમાં ચાર વિકેટ, પાંચ વન-ડેમાં ૧૦ વિકેટ અને ૩ T20માં પાંચ વિકેટ વિકેટ લીધી છે. 

harshit rana gautam gambhir kidambi srikanth indian cricket team team india cricket news sports sports news