દેવજિત સૈકિયાએ ભારતીય ટેસ્ટ-ટીમના હેડ કોચ માટે લક્ષ્મણના નામની ચર્ચાને પાયાવિહોણી ગણાવી

29 December, 2025 09:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-ફૉર્મેટમાં ગૌતમ ગંભીરના ખરાબ કોચિંગ-રેકૉર્ડને કારણે અફવાઓ ઊડી હતી

ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન વિશેની અટકળો પર મોટું નિવેદન આપ્યું

ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન વિશેની અટકળો પર મોટું નિવેદન આપ્યું છે. મીડિયાના અહેવાલો ફરતા થઈ રહ્યા છે કે ભૂતપૂર્વ ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણને ભારતના આગામી ટેસ્ટ-કોચ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતનું ટેસ્ટ-ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન થતું હોવાથી આ નિર્ણય લેવાશે એવી ચર્ચા હતી.

આ મામલે દેવજિત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે ‘આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. એ ખરેખર અટકળો છે. કેટલીક ખૂબ જ પ્રતિષ્ઠિત સમાચાર-એજન્સીઓ પણ આ અહેવાલ આપી રહી છે. એમાં કોઈ સત્ય નથી. BCCI સ્પષ્ટપણે એનો ઇનકાર કરે છે. લોકો જે ઇચ્છે એ વિચારી શકે છે, પરંતુ BCCIએ કોઈ પગલાં લીધાં નથી. આ કોઈની કલ્પના છે એમાં કોઈ સત્ય નથી. આ સમાચારો હકીકતમાં ખોટા અને પાયાવિહોણા છે.’

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારત માત્ર ૭ ટેસ્ટ-મૅચ જીત્યું છે જ્યારે ૧૦ હાર્યું છે અને બે મૅચ ડ્રૉ રહી છે. વન-ડે અને T20 ફૉર્મેટમાં ભારત તેના કોચિંગ હેઠળ સારું પ્રદર્શન કરી રહ્યું હોવાથી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ સુધીના કોચિંગ-કરારમાં કોઈ ફેરફાર નહીં થાય એની સંભાવના વધુ છે. 

indian cricket team team india test cricket gautam gambhir vvs laxman cricket news sports sports news board of control for cricket in india