30 December, 2012 07:09 AM IST |
મૅરથૉન, ટગ ઑફ વૉર, વૉર ઑફ વડ્ર્સ, મ્યુઝિકલ હાઉસી, પાંજરાપોળની મુલાકાત, ફન ઍન્ડ ફેર, આઉટડોર સ્ર્પોટ્સ કૉમ્પિટિશન, રાસ-ગરબા, ક્રિકેટ મૅચ, નાઇટ ટ્રેઝર હન્ટ - એવા અનેક રોમાંચક અને ચકાચક કાર્યક્રમો યોજાય છે એક ગામના બર્થ-ડેમાં... હા, ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં આવેલા મનફરા ગામની વર્ષગાંઠે દર વષેર્ ૨૬, ૨૭, ૨૮ ડિસેમ્બરે આનંદોત્સવનું આયોજન થાય છે; જેમાં વતનથી દૂર મુંબઈ અને અન્ય શહેરોમાં રહેતા બેથી અઢી હજાર ગામવાસીઓ ઉપરાંત અન્ય મહેમાનો પણ સામેલ થાય છે.
ઈ. સ. ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભીષણ ભૂકંપ પછી ભચાઉ તાલુકામાં આવેલું મનફરા ગામ સાવ ધ્વસ્ત થઈ ગયું હતું. આ ગામના ઓશવાળ જ્ઞાતિજનોએ જૂના ગામથી અડધો કિલોમીટર પહેલાં એક નવું ગામ વસાવ્યું અને નવું નામ રખાયું શાંતિનિકેતન. એ-બી-સી-ડી એમ ચાર ટાઇપના ૬૭૫ બંગલાઓથી બનેલા આ પ્લાન્ડ વિલેજમાં સંકુલની અંદર જ દેરાસર, સ્થાનક, ઉપાશ્રય, લાઇબ્રેરી, સ્કેટિંગ રિન્ક, ગાર્ડન, કૉમ્યુનિટી હૉલ, કુળદેવી-દેવનાં મંદિરો વગેરે આવેલાં છે. સુંદરતમ ટાઉન-પ્લાનિંગથી બનેલા ગામની નોંધ આખા ગુજરાત અને દેશ-વિદેશના ઘણા ભાગોમાં લેવાઈ હતી. જોકે આ ગામની અન્ય નોંધનીય વાત એ છે કે છેલ્લાં નવ વર્ષથી દર વષેર્ ૨૬, ૨૭ અને ૨૮ ડિસેમ્બરે ગામની વર્ષગાંઠ ઊજવાય છે. ઈ. સ. ૨૦૦૪ની ૨૭ ડિસેમ્બરે ગામનું ઓપનિંગ થયું હોવાથી આ દિવસે ગામના મુખ્ય દ્વારે તોરણવિધિ થાય છે, જેમાં ઢોલ-નગારાંના તાલે ગામની બહેનો છાબમાં તોરણ લઈ આવે છે અને એક પરિવાર દ્વારા શાંતિનિકેતનના મુખ્ય દરવાજે બંધાય છે.
મૂળે આ આનંદોત્સવ ગામવાસીઓ માટે જ હોય છે. તેમના માટે સવારના ચા-પાણી-નાસ્તાથી લઈને બપોરનું ભોજન અને સાંજનો જમણવાર ગામના કૉમન રસોડે જ નિ:શુલ્ક હોય છે. હા, મહેમાનો કે અન્ય મુલાકાતીઓ માટે કૂપન લેવાની રહે છે, જેની નાની રકમ ચૂકવવાની હોય છે. પહેલાંનાં વરસોમાં તો તેમના માટે પણ જમવાનું ફ્રી હતું, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી સંખ્યાનો બરાબર અંદાજે આવે અને કશી વસ્તુનો બગાડ ન થાય કે ખૂટે નહીં એ સારુ કૂપનની વ્યવસ્થા કરાઈ છે. આ સગવડથી ગામની મહિલાઓ ફ્રી રહે છે અને દરેક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.
મનફરા ગામના મોવડીઓએ નેક્સ્ટ જનરેશન પોતાના વતન સાથે જોડાઈ રહે તે સારુ ભરેલાં આ પગલાં એવાં સુપરહિટ રહ્યા છે કે કચ્છ-વાગડનાં અન્ય ગામોમાં પણ આ પ્રકારના મહોત્સવો યોજવાની શરૂઆત થઈ છે. જોકે ગામ પોતાના જન્મદિનની ઉજવણી કરે અને એ દિવસે તોરણવિધિ થાય એ ઘટના દુનિયામાં જવલ્લે જ બનતી ઇવેન્ટ છે.