પ્રેમ વિશેની ઊંડી ફિલસૂફી

24 November, 2012 07:54 AM IST  | 

પ્રેમ વિશેની ઊંડી ફિલસૂફી


(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)


If I can stop one heart from breaking
I shall not live in vain
If I can ease one life
The aching or cool one pain
Or help one fainting robin
- Emily Dickinson


એ વાતાવરણમાં મારે હજરત ઇનાયત ખાંએ પ્રેમ વિશે જે સુંદર અતિશયોક્તિ ભાષ્ય આપ્યું છે એ કહેવું છે. તેમણે ભાષા પણ ખૂબ રૂપાળી અને પ્રેમભરી વાપરી છે, પણ એ પહેલાં કવિયત્રી એમિલી ડિકિન્સનની વાતને આપણે પણ તેની કવિતા મુજબ અનુસરીએ. તે કહે છે કે ભલે હું મારી જિંદગીમાં બીજાં મોટાં દાન ન કરું, પણ મારા વર્તનથી અને કોમળ શબ્દોથી કોઈ એક હૃદયને તૂટતું અટકાવું તો પણ માનીશ કે મારી જિંદગી વ્યર્થ નથી ગઈ.

આપણે પણ આવો સંકલ્પ કરીએ કે સાવ લેવાદેવા વગર કોઈની જિંદગી કઠણ કે કાંટાવાળી બનાવવાને બદલે તેના પીડાયેલા દિલને શાંતિ આપીએ. કવિયત્રીએ રૉબિન નામના પક્ષીનો દાખલો આપ્યો છે. રૉબિન કોમળમાં કોમળ પ્રાણી છે અને તમારે એ સ્વીકારવું પડશે કે કોમળતાની બાબતમાં સ્ત્રી-પુરુષ બન્નેનાં હૃદય સરખાં હોય છે. આજકાલ બન્નેને ખૂબ પ્રેમ અને સહાનુભૂતિની જરૂર છે.

હજરત ઇનાયત ખાંએ જે શબ્દો લખ્યા છે એ હૃદયમાં કોતરી લેવા જેવા છે. વાંચો.

જીવનમાં મેં પ્રેમ કર્યો છે અને પ્રેમ

મેળવ્યો પણ છે અરે પ્રેમના હાથે મેં


વિષની પ્યાલી અમૃત માનીને પી લીધી છે.

આ શબ્દોનો ભાવાર્થ સમજવાનો છે. જેને પ્રેમ કર્યો હોય, જેનો પ્રેમ લૂંટ્યો હોય તેના થકી કોઈ વાર કડવાશ પણ સહન કરવી પડે છે. હજરત ઇનાયત ખાં કહે છે, ‘હું જીવનના હર્ષ અને શોકથી ઉપર ઊઠી શક્યો છું. ક્યારે? જ્યારે મને ભરપૂર પ્રેમ મળ્યો છે અને સામે એનાથી બમણો પ્રેમ મેં આપ્યો છે ત્યારે.’

‘મારા પ્રેમ પ્રજ્વલિત હૃદયે જ કોઈ હૃદયને મેં સ્પર્શ કર્યો છે. મારું હૃદય કોઈને પ્રેમ આપીને જરૂર ચિરાયું છે, પણ એ પછી ફરી એટલુંબધું મજબૂત રીતે જોડાયું છે કે મને પ્રેમભંગ થયાનો અનુભવ જ થયો નથી. મારાથી પ્રેમનો રિશ્તો તોડનારને પણ મેં પ્રેમ કર્યો છે.’

‘મારું હૃદય ઘાયલ થયું છે અને ફરી-ફરી રુઝાય છે. મારું હૃદય હજાર વાર મૃત્યુ પામ્યું છે અને પ્રેમની કૃપાથી હજીયે હજાર વાર પ્રજ્વલિત છે. હું નરકમાંથી પસાર થયો છું ત્યારે મેં પ્રેમની ધધકતી આગ જોઈ છે.’ આટલી વાત કર્યા પછી હજરત ઇનાયત ખાં બહુ જ ઊંચી વાત કરે છે, ‘હું જ્યારે પ્રેમરૂપી સ્વર્ગમાં પ્રવેશ્યો ત્યારે મેં મારા પ્રેમનું નામ પોકાર્યું. ત્યારે ઈશ્વરનું સિંહાસન ડોલી ઊઠ્યું. ત્યારે મારે પ્રેમને કહેવું પડ્યું, ‘હે પ્રેમ, તારું રહસ્ય કહે’. ત્યારે પ્રેમે મૃદુતાથી મારો હાથ પકડીને કાનમાં કહ્યું, ‘તું જ પ્રેમ છો, તું જે ઈશ્વરી તત્વની પૂજા કરે છે એ તું જ છે. તું જ પ્રેમપૂજારી છે અને તું જ તારી પૂજા કરે છે.’

તાત્પર્ય એ છે કે આખરે તો માનવે પોતાનામાંથી જ પોતાને દિવ્ય બનાવીને પ્રેમ મેળવવાનો છે. બીજા શબ્દોમાં પ્રેમ કરશો એટલો મળશે જ.