તમને નરેન્દ્ર મોદીની ઈર્ષા થાય છે?

06 December, 2014 06:37 AM IST  | 

તમને નરેન્દ્ર મોદીની ઈર્ષા થાય છે?




નો પ્રૉબ્લેમ- રોહિત શાહ


 એ તો ગૌરવપ્રદ અને આનંદપ્રદ ઘટનાઓ છે. જેલસી તો તેમની એનર્જી જોઈને થાય છે. એમ લાગે છે કે આ માણસની બૉડીમાં એનર્જીનું કોઈ વિરાટ પાવરહાઉસ હોવું જોઈએ. આટઆટલું ભ્રમણ કરવાનું, આટઆટલાં ભાષણો કરવાનાં, આટઆટલા પ્રતિભાશાળી મહાનુભાવોને મળવાનું, મહત્વના નિર્ણયો કરવાના, વિરોધીઓની ટીકા સામે મુત્સદીપૂર્વક ન્યુટ્રલ રહેવાનું... આ બધું કાંઈ આસાન નથી.

આપણે ત્યાં અમેરિકા-ઑસ્ટ્રેલિયાથી કોઈ મહેમાન આવે ત્યારે શરૂના બે-ત્રણ દિવસ તો રાત-દિવસના ડિફરન્સને ઓકે કરવામાં પસાર કરવા પડે છે. ત્યાંથી પ્રવાસ શરૂ કરે ત્યારે દિવસ હોય, અહીં પહોંચે ત્યારેય દિવસ હોય! રાતના આરામનો હિસાબ ચૂકતે કરવો પડેને! આપણા ગેસ્ટ કાં તો આરામ કરશે કાં તો સુસ્ત-મૂડલેસ રહેશે.
આપણે એક જ રાતનો ઉજાગરો કર્યો હોય તોય બીજા દિવસે શરીર માટી જેવું થઈ જાય છે, મન કહ્યામાં રહેતું નથી, આંખો સતત ઘેરાયેલી રહે છે, બેચેની અને અર્જીણ જેવું લાગે છે. જાણે આપણી એનર્જીની બૅટરી ઊતરી ગઈ હોય એવું ફીલ થાય છે.

આપણને ડગલે ને પગલે કફ-શરદી થઈ જાય છે, ઇન્ફેક્શન લાગી જાય છે, ડાયરિયા થઈ જાય છે, ભૂખ લાગે છે, ન્યુમોનિયા થઈ જાય છે. નરેન્દ્ર મોદીને આવું કાંઈ કેમ થતું નથી? થતું હોત તો એ બધું ન્યુઝરૂપે જોવા મળતું જ હોત. આપણને ખાસ કાંઈ ઉદ્યમ ન કર્યો હોવા છતાં અઠવાડિયામાં એક રજા મળે એવી અપેક્ષા રહે છે અને રજા એન્જૉય કર્યા પછી બીજા દિવસે કામ પર ચડવાનું કપરું લાગે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧થી (ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા ત્યારથી) આજ સુધી એક પણ રજા પાડી નથી.

ભલેને હવાઈ જહાજોમાં ઊડવાનું હોય અને શ્રેષ્ઠ આહાર જમવાનો હોય, ભલેને અનેક માણસો સેવામાં તૈનાત હોય અને પોતે ખાસ કોઈ શ્રમ કરવાનો ન હોય તોય નરેન્દ્ર મોદી જે સ્ફૂર્તિથી અને જે જુસ્સાથી કામ કરી રહ્યા છે તે ઈર્ષા ઉપજાવે એવું અવશ્ય છે! તેમની બૉડી-લૅન્ગ્વેજ ધારીને જોજો, તમને ક્યાંય શુષ્કતા નહીં દેખાય; સુસ્તી તો શોધીયે નહીં જડે. તેજદાર આંખો, મક્કમ ચાલ અને છટાદાર શબ્દોનું હર્યુંભર્યું સામ્રાજ્ય તેમની પર્સનાલિટીમાં દેખાય છે. થાક-કંટાળો કે નાની-મોટી બીમારી તેમના ચહેરા પર કદી જોવા મળતાં નથી.

નરેન્દ્ર મોદી વિદેશપ્રવાસ કરતા હોય કે ચૂંટણીપ્રચાર માટે ઠેરઠેર પ્રવાસો કરતા હોય ત્યારે પ્રવાસ તો તેમણે પોતે જ કરવો પડતો હોયને! ગમે તેટલો આરામદાયક પ્રવાસ હોય તોય પ્રવાસનો થાક તો લાગે જને! અને તેમને ક્યાં માત્ર હવાફેર માટે કે મોજમજા કરવા માટે પ્રવાસો કરવાના હોય છે? જે દેશમાં જાય ત્યાંના નેતાઓને મળવાનું, લોકોને મળવાનું, મીટિંગો-સેમિનારો અટેન્ડ કરવાનાં, લોકલ સ્થળોની વિઝિટ લેવાની એ બધું કાંઈ માણસો થોડું કરવાના છે? એ તો તેમણે જાતે જ કરવું પડેને! ભૂતકાળમાં આટલો એનર્જીપાવર ઇન્દિરા ગાંધીમાંય દેખાતો હતો. સ્ત્રી હોવા છતાં તેઓ તન-મનથી તાકાતવર અને તાજગીસભર હતાં.


જે દેશનો નેતા સ્ફૂર્તિહીન હોય એ દેશ પ્રગતિયે ક્યાંથી કરે? નરેન્દ્ર મોદી તો વસ્ત્રોનાય શોખીન છે. વેશભૂષા વ્યક્તિના વિચારો અને વૃત્તિઓનું પ્રગટ સ્વરૂપ હોય છે. હાફ સ્લીવના કુર્તા ‘મોદી-કુર્તા’ તરીકે દરેક ખાદીભંડારમાં મળે છે. લઘરવઘર નેતાનો પ્રભાવ તેના સાથીદારો પર પણ પડતો નથી. ચપળતા, તત્પરતા અને સ્ફૂર્તિથી સભર પર્સનાલિટી મુશ્કેલ કાર્યનેય આસાન બનાવી દે છે અને વિરોધીઓને વારંવાર હંફાવે છે. નરેન્દ્ર મોદી પથરા ફેંકવાનું કામ નથી કરતા, હરીફોએ ફેંકેલા પથરા ભેગા કરીને એમાંથી મજબૂત મકાન બનાવવાનું કામ કરે છે. તેમની પાસેથી બીજું કાંઈ આપણે શીખીએ કે ન શીખીએ ભલે, પણ આ મુત્સદ્દીપણું તો અવશ્ય શીખવા જેવું છે. ટીકા-નિંદા અને આક્ષેપોની ઉપેક્ષા કરતા રહીને આપણા ટાર્ગેટ તરફ સતત-સખત કૂચ કરતા રહેવાની નરેન્દ્ર મોદીની શૈલી આપણે અજમાવી શકીએ તો નો પ્રૉબ્લેમ.