આપણા દેશમાં એક-એક પરિવર્તન માટે ક્યાં સુધી ધરણાં કરવાનાં રહેશે?

16 October, 2011 07:20 PM IST  | 

આપણા દેશમાં એક-એક પરિવર્તન માટે ક્યાં સુધી ધરણાં કરવાનાં રહેશે?

 

ક્યાંક કોઈક સારો અને ભલો માણસ સ્પષ્ટ અને સ્વચ્છ રહેવા માગે તો પણ તે રહી શકે એમ નથી. મારાં ખુદનાં કેટલાંય કામો આને કારણે રખડી પડ્યાં છે. આ તો ભાઈ જાણીતા ખગોળશાસ્ત્રી છે, થોડાક રૂઢિવાદી વિચારધારાવાળા છે એટલે કોઈએ સીધા મોંએ મારી પાસે ડાયરેક્ટ પૈસા માગ્યા નથી. જોકે એનો મતલબ એ નથી કે મારું કોઈ પણ કામ સહજતાથી પતી ગયું છે. ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ માટે અમારે ફાઇનૅન્સ મિનિસ્ટર તરફથી એક સર્ટિફિકેટ જોઈતું હતું તો એના માટે કેટલીયે વાર સરકારી કચેરીઓનાં પગથિયાં ઘસી નાખ્યાં, હજી સુધી કંઈ નથી થયું. ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી હેરાનગતિ કરવાની વાત તો આવી જ જાય. ફલાણું સર્ટિફિકેટ લઈ આવો, ઢીંકણા ડૉક્યુમેન્ટ્સની કૉપી જોઈશે, સહી કરનારા ભાઈ નથી, સ્ટડી કરીને આગળ તપાસ માટે ફાઇલ મોકલી છે, હજી રિસર્ચવર્ક પૂરું નથી થયું એટલે અમુક પુરાવાઓ લાવો... આવાં તો કંઈકેટલાંય બહાનાંઓ અપાય છે.

મારામાં થોડીક ધીરજ છે, પણ જેને ઝટપટ કામ પતાવીને શિખરો સર કરી લેવા હોય તેને થોડાક પૈસા ઢીલા કરીને કામ ટૂંકાણમાં પતાવવાની ઇચ્છા થઈ જ જાય. આપણા દેશમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે માણસે એનાથી અળગા રહેવા માટે જબરદસ્ત આત્મસંયમ અને ધીરજ રાખવાં પડે.

ભ્રષ્ટાચાર હટાવવા માટે જનઆંદોલનનો જુવાળ ખડો થયો છે, પણ ખરેખર પ્રજા દિશાહીન છે. ભ્રષ્ટાચાર હટાવવા માટે બૂમો પડે છે, પણ એ કોની સામે પાડવામાં આવે છે? સરકાર જૂઠાણાં કરે છે એની બૂમો પાડનારા ભૂલી જાય છે કે આપણે પણ ક્યાં-ક્યાં સામે ચાલીને આપણી ફાવતી વાતોમાં જૂઠાણાંને સાથ આપીએ છીએ.

જનલોકપાલ બિલ માટે અણ્ણાજીએ બાંગ પોકારી ને દેશભરમાં આંદોલન જાગ્યું. જોકે સરવાળે એનો કોઈ જ ફાયદો નથી થયો. વ્યક્તિગત ધોરણે એમ લાગે કે સરકાર ઝૂકી અને વાત માની. પાછું એકડેએકથી શરૂ કરવું પડે એવી હાલત આવી ઊભી છે. જનલોકપાલ બિલ મંજૂર નહીં થાય કે એના પર નક્કર પગલાં લેવાની સરકારે આપેલી તારીખો મુજબ આગળ કામ નહીં વધે તો ફરીથી ધરણાં કરવાની વાત થઈ રહી છે. અણ્ણાજીએ ચીમકી આપી છે, પણ એમ ચાકુની નોચ પર કેટલું પરિવર્તન થઈ શકે? આપણા દેશમાં એક-એક પરિવર્તન માટે આમ ક્યાં સુધી ધરણાંઓ કરવાનાં રહેશે?

રાજકારણીઓ, મોટા ઑફિસરો, નાના કર્મચારીઓ અને એક આમ આદમી બધાને આ રોગ લાગેલો છે.

લોકશાહીમાં પ્રજા સર્વોપરી ગણાય છે, પણ સત્તાધારીઓને પોતાનો કન્ટ્રોલ કેમેય ઓછો નથી કરવો. સંસદના સભ્યો નક્કી કરનારી પ્રજા છે, પણ તે સભ્યોને સવાલ કરવાની સત્તા પ્રજા પાસે નથી. સરકારને પોતાના માથે કોઈ ચાંપતી નજર રાખી શકે એવો ખરડો લાવવામાં જ રસ નથી. સરકારે જે બિલ રજૂ કર્યું હતું એમાં પણ આંખમાં ધૂળ નાખવાની જ કોશિશ હતી. 

- ડૉ. જે. જે. રાવલ

હળવદ જેવા નાનકડા ગામમાં જન્મેલા પ્રખર ખગોળવિજ્ઞાની ડૉ. જે. જે રાવલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. અવકાશમંડળ વિશેની ચોંકાવનારી આગાહીઓ કરીને તેમણે ખગોળશાસ્ત્રની દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે.

નેહરુ પ્લૅનેટેરિયમમાં તેમણે ૨૫ વર્ષ સાયન્ટિસ્ટ તેમ જ ડિરેક્ટરપદે કામ કર્યા પછી ઇન્ડિયન પ્લૅનેટરી સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી છે. આ સંસ્થા અંતર્ગત તેમણે રિસર્ચ અને સામાન્ય માણસોને વિજ્ઞાનમાં રસ લેતા કરવાનું કામ આગળ ધપાવ્યું છે. તેમણે નૅશનલ અને ઇન્ટરનૅશનલ સાયન્સ રિસર્ચ માટેની જર્નલ્સમાં ૩૦થી વધુ સંશોધનપત્રો રજૂ કયાર઼્ છે તથા વિજ્ઞાનની સમજણ આપતા ૨૦૦૦થી વધુ લેખો લખ્યા છે. ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ સૂર્ય, પ્લુટો ગ્રહ તેમ જ આઇન્સ્ટાઇનની થિયરી પર સંશોધન કરી રહ્યા છે.