ઍડવાન્સ લઈ લીધા પછી પણ બિલ્ડર નિયત કરેલી તારીખે ફ્લૅટનું પઝેશન ન આપે ત્યારે...

08 December, 2012 09:27 AM IST  | 

ઍડવાન્સ લઈ લીધા પછી પણ બિલ્ડર નિયત કરેલી તારીખે ફ્લૅટનું પઝેશન ન આપે ત્યારે...



(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)


કેસસ્ટડી : 

કોદુરુ રેડ્ડી અને રવીન્દ્ર રેડ્ડી (ફરિયાદીઓ)એ આન્ધ્ર પ્રદેશ સ્ટેટ કમિશનમાં બે એકસરખી ફરિયાદ નોંધાવી. મામિદી રેડ્ડી અને મામિદી પરસાના (જમીનમાલિકો)ની જમીન પર સાંઈ અરવિંદ પ્રૉપર્ટી ડેવલપર્સ (બિલ્ડર્સ) દ્વારા બંધાયેલા બિલ્ડિંગમાં આ કોદુરુ રેડ્ડી અને રવીન્દ્ર રેડ્ડીએ સ્વતંત્ર રીતે પોતપોતાનાં ઘર ખરીદ્યાં હતાં. પ્રત્યેક ઘરની કિંમત ૮૦ લાખ રૂપિયા હતી. એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા આ બન્નેએ ચૂકવી દીધા હતા. બિલ્ડર અને જમીનમાલિકો સામે તેમણે જે ફરિયાદ નોંધાવી હતી એમાં એ બન્નેએ જણાવ્યું હતું કે બાંધકામ વિલંબિત થયું હતું અને બિલ્ડર તેમ જ જમીનમાલિકના આ બાંધકામ વિલંબિત થવાના વલણને લીધે તેમણે સેવેલાં સપનાં ચૂર-ચૂર થઈ ગયા હતા.

તમામ પક્ષને સાંભળ્યા પછી સ્ટેટ કમિશને અવલોક્યું કે જમીનમાલિક કોઈ પણ રીતે જવાબદાર નહોતા, કારણ કે તેમને કોઈ પણ પ્રકારના પૈસા ચૂકવાયા નહોતા. જોકે, બિલ્ડરને પૈસા મળ્યા હતા એટલે બિલ્ડર એકલો જ જવાબદાર ગણાય. કમિશને એ પણ નોંધ્યું કે હકીકતમાં બાંધકામમાં વિલંબ થયો હતો અને પઝેશન નહોતું આપવામાં આવ્યું. એટલે ઘર ખરીદનાર પ્રત્યેકને બિલ્ડરે તેમણે આપેલી રકમ પાછી આપવાની સાથે વાર્ષિક નવ ટકાનું વ્યાજ અને દસ હજાર રૂપિયા વળતર તરીકે તેમ જ બીજા પાંચ હજાર રૂપિયા ખર્ચ પેટે ચૂકવવાના રહેશે એવો આદેશ કમિશને આપ્યો.

ફરિયાદીઓએ આ આદેશ સામે ફરી અપીલ નોંધાવી, કારણ કે તેઓ આ વળતરની રકમથી ખુશ નહોતા. તેમણે દાવો નોંધાવ્યો કે બિલ્ડરે સમયસર બાંધકામ કર્યું નહીં અને એ બાંધકામ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો હતો.

સામી બાજુએ બિલ્ડરે પણ આ આદેશને પડકાર્યો અને દાવો કર્યો કે આ બાબતસર તેને જવાબદાર ન ઠેરવી શકાય. તેની ફરિયાદ એ હતી કે ફરિયાદીઓ પણ તેમની રકમ ચૂકવવામાં નાકામ રહ્યા હતા. એ ઉપરાંત બિલ્ડરનો બીજો બચાવ એ હતો કે બજારમાં મંદી થવાને લીધે રિયલ એસ્ટેટનો વ્યવસાય એકદમ પડી ભાંગ્યો હતો તેમ જ તેલંગણાના એજિટેશનને કારણે પણ બાંધકામ હંગામી ધોરણે બંધ પડી ગયું હતું. બિલ્ડરે જણાવ્યું કે પરિસ્થિતિમાં સુધારો આવવાનો શરૂ થતાં તરત જ બાંધકામ ફરી ચાલુ થઈ જશે.

નૅશનલ કમિશને નોંધ્યું કે બિલ્ડરે ફ્લૅટના બાંધકામમાં વિલંબ થયો છે એવી કબૂલાત કરી હતી. કરાર કરેલા દસ્તાવેજમાં તારીખ ૧૩-૨-૨૦૦૯ને રોજ પઝેશન મળી જશે એવું પણ જણાવાયું હતું. અને એ પછીનો ત્રણ મહિનાનો વધારાનો સમય પણ બિલ્ડરને ફાળવી અપાયો હતો. ચાર્ટર્ડ એન્જિનિયરે આપેલો અહેવાલ જણાવતો હતો કે પ્રત્યેક ઘરની કિંમત ૨૨,૪૨,૦૦૦ રૂપિયા જ છે, જ્યારે એની સામે દરેક ફરિયાદીએ લગભગ પાંત્રીસ લાખ ચૂકવ્યા હતા, જે રકમ હકીકતમાં ઘણી વધુ અને બાંધકામના ખર્ચને પહોંચી વળવા પૂરતી છે. એટલે જ્યારે ફરિયાદીઓએ વર્ષ ૨૦૧૦માં આ માટેની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પણ આ ફ્લૅટોનું પઝેશન તૈયાર નહોતું.

નૅશનલ કમિશને ટિપ્પણી કરતાં જણાવ્યું કે આનો અર્થ એ થયો કે બિલ્ડરની સેવામાં ઊણપ હતી અને એને માટે બિલ્ડર ખુદ જવાબદાર છે. આ મુજબ, કેસની ગુણવત્તાને આધારે બિલ્ડરની અપીલ ફગાવી દેવાઈ.

ફરિયાદીઓની અપીલ મુજબ વળતર માટેના આદેશ પર મહોર મારવામાં આવી. નૅશનલ કમિશને પણ વાર્ષિક નવ ટકાનું વ્યાજ વાજબી ગણાવ્યું. જોકે, કયા સમયગાળા દરમિયાન આ વ્યાજ ચૂકવવાનું એ માટે એવી ગણતરી કરવાની રહેશે કે દરેક હપ્તા ચૂકવવાની તારીખ પ્રમાણે વ્યાજ ચૂકવવાનું રહેશે, વિલંબના સમય માટે નહીં. એ ઉપરાંત વળતર પણ વધારવામાં આવ્યું. વળી દરેક ફરિયાદીને ૫૦,૦૦૦ રૂપિયા આપવાનો આદેશ અપાયો.

ઇમ્પૅક્ટ :

જ્યારે ગ્રાહકનો પૈસો ટ્રેડર અથવા તો સર્વિસ આપનાર દ્વારા ઉપયોગમાં લેવાય છે, ત્યારે વ્યાજ એ આખા સમયગાળા દરમ્યાનનું હોય છે. રકમ ચૂકવવાની એકદમ શરૂઆતથી એ જ્યાં સુધી આખી રકમ વળતર તરીકે ચૂકવાય નહીં ત્યા સુધી. જોકે, ગ્રાહક ફોરા આ વ્યાજ, રદ થયાની તારીખથી અથવા તો પછી જ્યારે ફરિયાદ નોંધાવાઈ હોય ત્યારથી જ ગણે છે, જેને લીધે ગ્રાહકને વ્યાજની મોટા પ્રમાણની રકમની ખોટ પડે છે. ગ્રાહક આ ચુકાદાનો ઉપયોગ કરી આખા સમયગાળા માટે એટલે કે છેક શરૂઆતના સમયથી એ વળતર આપવાની તારીખ સુધી વ્યાજ માટેનો દાવો કરી શકે છે.