થોડો સમય આ દેશ પર રાષ્ટ્રપતિશાસન કે લશ્કરી શાસન લાવવાનો સમય આવી ગયો છે

16 September, 2012 10:34 AM IST  | 

થોડો સમય આ દેશ પર રાષ્ટ્રપતિશાસન કે લશ્કરી શાસન લાવવાનો સમય આવી ગયો છે




રાજકારણનો એક થમ્બ રૂલ છે. જે મુદ્દો વિરોધપક્ષને ફ્રન્ટ ફૂટ પર એટલે કે અિગ્રમ હરોળમાં લાવીને મૂકી દે એને ક્યારેય ઑપોઝિશનના હાથમાં નહીં આવવા દેવાનો. આ થમ્બ રૂલ રાજકારણનો જન્મ થયો એ દિવસથી અમલમાં મુકાયો છે. તમને કોઈ પણ દેશની હિસ્ટરી ખોલીને વાંચી લેવાની છૂટ. દેશ તો શું સ્ટેટના પૉલિટિક્સમાં પણ આ જ વાત લાગુ પડે અને કૉર્પોરેશનના પૉલિટિક્સને પણ આ વાત લાગુ પડે. જ્યાં સક્રિય રાજકારણ નથી એ જગ્યાએ પણ આ નિયમ લાગુ પડતો આવ્યો છે અને ઑફિસ કે કંપનીના સિનિયર્સ પણ આ જ નિયમને ફૉલો કરતા રહેતા હોય છે. થોડી વધુ ડીટેલમાં કહું તો ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જે મિનિટે ખબર પડી ગઈ કે કમ્યુનલ ડિફરન્સિસ એટલે કે કોમવાદી વાતાવરણ વિરોધપક્ષને ફ્રન્ટ ફૂટ પર લાવે છે એ જ મિનિટથી તેમણે કમ્યુનલ ડિફરન્સિસની વાત ગુજરાતમાંથી ગાયબ કરી દીધી. તમે ૨૦૦૧ અને ૨૦૦૨નાં વષોર્ની મોદીની સ્પીચ અને અત્યારની સ્પીચ સાંભળો. તમને સ્પષ્ટપણે દેખાઈ આવશે કે તેમનામાં કેટલો ચેન્જ આવ્યો છે. આ જ કારણે તો આ વખતે ગુજરાતમાં કૉન્ગ્રેસ પણ મુદ્દાઓ શોધવા માટે એક-એક વીકનો ટાઇમ લઈને પોતાનો ઇલેક્શન-મૅનિફેસ્ટો ડિક્લેર કરી રહી છે. સેકન્ડ્લી, ગુજરાત કૉન્ગ્રેસના એક પણ મુદ્દામાં ક્યાંય તમને કોમવાદની અસર નહીં દેખાય. હવે બધા ગુજરાતમાં વિકાસની વાત કરતા થઈ ગયા છે. કોઈ એકબીજાને સહેજ પણ લૂઝ બૉલ આપવા તૈયાર નથી. ગુજરાતમાં જ શું કામ, દેશમાં અને દુનિયામાં કોઈ ક્યારેય સામેવાળાને લૂઝ બૉલ આપતું નથી હોતું. એકાદ વાર એવો ચાન્સ આપી દેવાની ભૂલ થઈ જાય તો પણ જો પૉસિબલ હોય તો એ નેતા પોતાની ભૂલ તરત જ સુધારવાની ટ્રાય કરી લે. જોકે અત્યારે કેન્દ્ર સરકારની હાલત એ હદે કફોડી છે કે લૂઝ બૉલ આપ્યા પછી એ ભૂલ સુધારી પણ નથી શકતી અને લૂઝ બૉલ આપવાનું બંધ પણ નથી કરી શકતી.

હું વાત મોંઘવારીની કરી રહ્યો છું. કૉન્ગ્રેસ સરકારને ખબર છે કે મોંઘવારીનો મુદ્દો વિરોધપક્ષના હાથમાં આવી ગયો છે અને એમ છતાં એ આ એક મુદ્દે બીજું કંઈ કરી પણ નથી શકતી. ગૅસ, ડીઝલ, પેટ્રોલ અને ક્રૂડની બીજી પ્રોડક્ટ્સની સીધી અસર જીવનનર્વિાહની અન્ય ચીજવસ્તુઓ પર પડવાની છે એ ખબર હોવા છતાં કૉન્ગ્રેસ એ ભાવોને પોતાના કાબૂમાં રાખી શકતી નથી. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ઑપોઝિશનની સાથે હવે પબ્લિકને પણ આ મોંઘવારી ધ્યાન પર આવી ગઈ છે. મેં જે કોઈ ઇતિહાસની અને આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્ટડી કરી છે એના આધારે કહું છું કે જ્યારે પણ પબ્લિક મોંઘવારીને મુદ્દો બનાવીને વિદ્રોહ કરે છે ત્યારે જે-તે દેશે મોટી અને સજ્જડ ક્રાન્તિ જોઈ છે. આ વખતે ભારત પણ એ જ દિશામાં આગળ વધી રહ્યું છે.

આ વષ્ોર્ મોંઘવારી ખરેખર એક સૉલિડ પૉઇન્ટ તરીકે લોકોના માનસ પર છવાઈ ગઈ છે. આંકડાઓની દૃષ્ટિએ કહેવું હોય તો કહી શકાય કે કૉન્ગ્રેસના શાસનકાળ દરમ્યાન દેશમાં અંદાજે ૪૭ ટકાની મોંઘવારી આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આજથી ચાર વર્ષ પહેલાં જે વસ્તુ ૧૦૦ રૂપિયાની મળતી હતી એ વસ્તુ આજે ૧૪૭ રૂપિયામાં મળે છે અને હજી તો કૉન્ગ્રેસે લગભગ પોણાબે વર્ષ જેટલો સમય કાઢવાનો બાકી છે. જો મોંઘવારીની આ સાઇકલ એ અટકાવી નહીં શકે તો ટર્મ પૂરી થતાં સુધીમાં આ આંકડો કદાચ ૬૦ ટકાની આસપાસ પહોંચી જશે. પાંચ વર્ષમાં ૬૦ ટકા એટલે કે દર વષ્ોર્ ૧૨ ટકાની ઍવરેજ.

તમને યાદ હોય તો સરકારી બોનસની બૉટમલાઇન દસ ટકા છે. સરકારી પગારમાં વધારો પણ આ બૉટમલાઇનના આધારે આવે છે એટલે કે દસ ટકા જેટલો આવતો હોય છે અને એનો અર્થ એવો થયો કે મોંઘવારી સરકારી પગારવધારા કરતાં પણ બે ટકા વધારે છે.

મોંઘવારીનો આ આંકડો મોટો થઈ ગયો છે. હવે એને પાછો નીચે લાવવા માટે ક્રાન્તિ એક જ રસ્તો હોઈ શકે એવું મને લાગે છે, કારણ કે આ દેશનું જે કોઈ ફાઇનૅન્શિયલ બજેટ છે એના કરતાં પણ મોટાં સ્કૅમ આ દેશમાં થઈ રહ્યાં છે જેની આડઅસરરૂપે મોંઘવારી દેખાય છે. અન્યથા સરકાર આ બોજ જનતા પર નાખવાને બદલે સરકારી તિજોરી પર નાખી શકે છે; પણ હવે એવું થવું શક્ય નથી, કારણ કે તિજોરી ભાર સહન કરી શકે એમ નથી. ઇકૉનૉમિક્સનો એક પણ ભારેખમ શબ્દ વાપર્યા વિના કહું છું કે આજની આ જે મોંઘવારી છે એ સીધેસીધી ભ્રષ્ટાચારની અસર છે. આ અસર એવડી મોટી છે કે આના પછી આવનારી કોઈ પણ ગવર્નમેન્ટને એ નડવાની છે. આવા સમયે મને તો એક જ રસ્તો દેખાય છે : ક્રાન્તિ. શક્ય છે કે એ જ દિશામાં આપણે આગળ વધીએ. સાવ બ્લન્ટ્લી કહું તો હવે સમય આવી ગયો છે કે થોડો સમય આ દેશ પર રાષ્ટ્રપતિશાસન કે લશ્કરી શાસન આવે. આ જરૂરી છે. દેશ માટે અને દેશની જનતા માટે પણ આ ઉપકારદાયી પગલું છે એવું હું બહુ વિચારું ત્યારે મને લાગે છે.

અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ જોતાં રાષ્ટ્રપતિશાસન કે લશ્કરી શાસન એક જ એવો ઉપાય છે જેને અમલમાં મૂકવાથી ભ્રષ્ટાચાર કરી ચૂકેલા રાજકારણીઓ સામે કડક અને સાચી દિશામાં પગલાં લઈ શકાશે. હું ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી ધરાવતો એવું નથી, પણ દેશની ધીમી ન્યાયપ્રક્રિયાને કારણે ભ્રષ્ટ નેતાઓની હિંમત અનેકગણી વધી ગઈ છે. આ હિંમત તોડવા માટે પણ ક્રાન્તિની જરૂર છે જે માત્ર પબ્લિક દ્વારા જ આવશે.

 - પ્રબલ પ્રતાપ સિંહ

(ટીવી-જર્નલિઝમમાં ગર્વથી જેમનું નામ લેવાય છે એ બાવન વર્ષના પ્રબલ પ્રતાપ સિંહ અત્યારે દેશની અિગ્રમ ચૅનલ આજતકના ઇન્વેસ્ટિગેટિવ એડિટર છે. અગાઉ આઇબીએન-૭ સાથે કામ કરી ચૂકેલા પ્રબલ પ્રતાપ સિંહની કરીઅરની શરૂઆત ઈટીવીથી થઈ હતી અને પછી દેશની અલગ-અલગ ચૅનલમાં તેમણે ફરજ બજાવી હતી. પોતાની પચીસ વર્ષની જર્નલિઝમની કરીઅરમાં પ્રબલ પ્રતાપ સિંહે અનેક બ્રેકિંગ ન્યુઝ અને ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી આપી છે. ઇરાક-ઈરાન વૉર અને અફઘાનિસ્તાન પર જ્યારે અમેરિકાએ ચડાઈ કરી ત્યારે તેઓ પહેલા પત્રકાર હતા જે યુદ્ધના ફીલ્ડમાં પહોંચ્યા હતા. તેમના યુદ્ધના અનુભવના આધારે ફિલ્મ-ડિરેક્ટર કબીર ખાને ‘કાબુલ એક્સપ્રેસ’ નામની ફિલ્મ બનાવી હતી.)