08 May, 2026 02:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સફાઈ-કર્મચારીઓએ કૉન્ગ્રેસના નેતા જમીલ અન્સારીના ઘરની બહાર કચરો ઠાલવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌલીમાં સફાઈ-કર્મચારીઓએ કૉન્ગ્રેસના નેતા જમીલ અન્સારીના ઘરની બહાર કચરો ઠાલવીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. મૂળે વિવાદ નગરપાલિકાનો ટૅક્સ ભરવા અને નગરપાલિકાની એક દુકાનના ભાડાને લઈને થયો હતો. જમીલ અન્સારીએ લગભગ ૪ લાખ રૂપિયાનો ટૅક્સ ચૂકવ્યો નહોતો. અનેક વાર નોટિસ આપ્યા પછી પણ ચુકવણી નહોતી થઈ. સોમવારે જ્યારે કર્મચારીઓ નોટિસ આપવા પહોંચ્યા તો જમીલ અન્સારીએ તેમની સાથે ગાળાગાળી કરીને તેમને કાઢી મૂક્યા હતા. એને કારણે વિવાદ વધી ગયો હતો. તેમણે આ વિસ્તારમાં સફાઈ જળવાતી ન હોવાના મુદ્દે પણ વિરોધ કર્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા સફાઈ-કર્મચારીઓએ શહેરભરમાંથી એકઠો કરેલી ૩ કચરાની ટ્રૉલીઓ જમીલ અન્સારીના બંગલાની બહાર ખાલી કરી દીધી. બે કલાક સુધી કચરો ત્યાં પડી રહેતાં આખો વિસ્તાર વાસ અને ગંધથી ભરાઈ ગયો. જમીલ અન્સારી એ પછી પણ ઢીલો પડવા તૈયાર નહોતો. તેણે પોલીસને બોલાવી અને પોલીસે જ્યારે બાકી નીકળતા ટૅક્સની વાત કરી ત્યારે તેમની સાથે પણ ઝઘડા પર ઊતરી આવ્યો હતો.