21 February, 2026 01:40 PM IST | Unnao | Gujarati Mid-day Correspondent
માનિક ગુપ્તા ૩૦ વર્ષથી અમ્પાયર તરીકે કાનપુર ક્રિકેટ અસોસિએશન સાથે જોડાયેલા હતા
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સપ્રૂ સ્ટેડિયમમાં અન્ડર-૧૩ ક્રિકેટ-મૅચ ચાલી રહી હતી. રમત જસ્ટ પૂરી થઈ હતી ત્યારે અચાનક જ મધમાખીઓનું ઝુંડ આવ્યું અને મેદાનમાં રમી રહેલા લોકો પર ત્રાટક્યું. બાળખેલાડીઓને બચાવવા અને સેફ જગ્યાએ પહોંચાડવાની તજવીજ કરી રહેલા ૬૫ વર્ષના અમ્પાયર માનિક ગુપ્તા પર સેંકડો મધમાખીઓએ હુમલો કર્યો અને લગભગ પચાસેક મધમાખીઓએ તેમને ડંખી દીધા. ડંખને કારણે બળતરા અને પીડાથી ઢળી પડેલા અમ્પાયરને સારવાર માટે લઈ જવા માટે પણ પહેલાં મધમાખીનું ઝુંડ ત્યાંથી નીકળે એની રાહ જોવી પડી. એ પછી તરત જ તેમને કાનપુરની મોટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું ઇલાજ દરમ્યાન મૃત્યુ થયું હતું. મેદાનમાં લગભગ બીજા દસેક ખેલાડીઓને પણ મધમાખીઓ કરડી હતી, પણ તેઓ બચી ગયા હતા. માનિક ગુપ્તા ૩૦ વર્ષથી અમ્પાયર તરીકે કાનપુર ક્રિકેટ અસોસિએશન સાથે જોડાયેલા હતા. સ્ટેડિયમની બહાર આવેલી દુકાનના માલિક વિનોદ રાઠોરનું કહેવું છે કે સપ્રૂ ગ્રાઉન્ડમાં આવી ઘટના પહેલાં પણ થઈ ચૂકી છે. આ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા વૃક્ષોની અંદર મધપૂડા હોય છે જે ક્યારેક અચાનક જ વિખેરાઈ જાય છે અને બેફામ થઈ જતાં રમી રહેલાં બાળકો પર હુમલો કરે છે. ગયા વર્ષે પણ આવી ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.