26 October, 2024 02:57 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પવન પટેલે જીવતી પત્નીને મૃત ગણાવીને શ્રાદ્ધ કર્યું હતું
ઉત્તર પ્રદેશના કનૌજમાં રહેતા પવન પટેલે જીવતી પત્નીને મૃત ગણાવીને શ્રાદ્ધ કર્યું હતું અને એ વિડિયો સોશિયલ મીડિયામાં પોતાના બધા અકાઉન્ટમાં મૂક્યો હતો. અંતિમ વિધિ તો કરી પણ સાથેસાથે બેસણાની જાહેરાત પણ કરી દીધી. પતિની આવી પોસ્ટ જોઈને પત્ની સ્તબ્ધ થઈ ગઈ અને તેણે પોલીસને અરજી કરી છે. પવન પટેલનાં ૨૦૦૯માં કાનપુરની મહિલા સાથે લગ્ન થયાં હતાં. ૧૦ વર્ષમાં તેમને બે દીકરા પણ થયા અને એ પછી પતિનાં રંગરૂપ બદલાવા લાગ્યાં. બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૨માં પવન એક યુવતીને ભગાડીને ઘરે લઈ આવ્યો હતો. તેની સાથે લગ્ન કરવાની વાત કરતાં પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડો પણ થયો હતો. એ પછી પત્ની બન્ને દીકરાને લઈને કાનપુરમાં પિયરમાં રહેવા જતી રહી હતી. તેણે છૂટાછેડા માટે અરજી કરી છે અને કેસ પણ ચાલી રહ્યો છે. એવામાં પતિએ તેને મૃત જાહેર કરી દીધી છે. ૨૩ ઑક્ટોબરે તે છાની રીતે બન્ને દીકરાને પણ લઈ ગયો હતો એટલે પત્નીએ બન્ને દીકરાનો જીવ જોખમમાં હોવાની ભીતિ પણ
વ્યક્ત કરી છે.