02 August, 2026 01:07 PM IST | Jalore | Gujarati Mid-day Correspondent
ગાયને પહેરાવ્યાં ૨૪ લાખ રૂપિયાનાં ઘરેણાં, એના માટે બની રહ્યું છે બે માળનું ઘર
રાજસ્થાનમાં એક એવી ગાય છે જેને એનો માલિક ખૂબ જ પ્રેમથી રાખે છે. રાધા નામની આ ગાય ખૂબ ભાગ્યશાળી છે. ઝાલોરના બિઝનેસમૅન નરેન્દ્ર પુરોહિત એને પરિવારનો જ હિસ્સો માને છે. તેમનું કહેવું છે કે રાધાના આગમન પછી તેમનું નસીબ ચમકી ગયું છે. જેણે પોતાનું નસીબ ચમકાવ્યું એના માટે નરેન્દ્ર પુરોહિતે ખાસ વ્યવસ્થાઓ કરી છે. ગાયના રહેવા માટે બે માળનું ઘર પણ તેઓ બનાવી રહ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રાધા આરામથી હરીફરી શકે અને ખાઈપી શકે એવી વ્યવસ્થા છે. તેનાં દર્શન કરવા આવનારા લોકો માટે પણ અહીં વ્યવસ્થા છે. ખાસ તહેવારો પર રાધાને તેઓ ૧૦ કિલો ચાંદીનાં ઘરેણાં પહેરાવે છે અને બારીક ગૂંથણીકામ કરેલી અવનવી ચૂંદડીઓ પણ ખાસ કારીગરો પાસે બનાવડાવે છે.
નરેન્દ્ર પુરોહિતનું કહેવું છે કે જ્યારે તેમના ઘરે રાધાનાં પગલાં થયાં ત્યારે તેઓ માત્ર ૧૫૦૦ રૂપિયાની નોકરી કરતા હતા. રાધાના આવ્યા પછી તેમણે બિઝનેસ શરૂ કર્યો અને એ રાતે ન વધે એટલે દિવસે વધવા લાગ્યો. હવે તેઓ રેલવે માટે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. હવે પરિવારજનો રોજ રાધાની પૂજા કરે છે. બે માળનું જે ઘર બની રહ્યું છે એનો ખર્ચ લગભગ ૧ કરોડ રૂપિયા જેટલો છે અને એને નામ અપાયું છે રાધા મહલ.