06 August, 2025 01:48 PM IST | Berlin | Gujarati Mid-day Correspondent
એવી ટેક્નૉલૉજી શોધવા પર કામ થઈ રહ્યું છે જે ક્રાયો-પ્રિઝર્વેશનમાં રાખવામાં આવેલા શરીરમાં ફરીથી પ્રાણ ફૂંકી શકે.
જર્મનીમાં ‘ટુમોરો બાયો’ નામની એક કંપની મૃત શરીરને ફ્રીઝ કરીને એને ડીમ્પોઝ થતું અટકાવી દે એટલા નીચા તાપમાને જાળવી રાખવાનું કામ કરે છે. મૃતદેહને માઇનસ ૧૯૮ ડિગ્રીમાં મૂકી રાખવાથી શરીરનો એક પણ કોષ મૃત્યુ પામ્યા પછી પણ ડીજનરેટ નથી થતો. આ પ્રોસેસને ક્રાયો-પ્રિઝર્વેશન કહેવાય છે. ટૂંક સમયમાં એવી ટેક્નૉલૉજી શોધવા પર કામ થઈ રહ્યું છે જે ક્રાયો-પ્રિઝર્વેશનમાં રાખવામાં આવેલા શરીરમાં ફરીથી પ્રાણ ફૂંકી શકે. આ જર્મન કંપનીનો દાવો છે કે જે દિવસે આ ટેક્નૉલૉજી કામ કરતી થઈ ગઈ, તમને એ બરફના ઊંડા ગોદામમાંથી કાઢીને ફરી જીવિત કરવામાં આવશે. કહતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવા લાગતા આ દાવાની સાથે કંપની ધરખમ ફી પણ ચાર્જ કરે છે. જો આખું શરીર પ્રિઝર્વ કરી રાખવું હોય તો ૧.૮ કરોડ રૂપિયા અને જો માત્ર મગજ જ જાળવી રાખવું હોય તો ૬૭.૨ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. કંપનીનું વિઝન છે એવી દુનિયા બનાવવાનું જ્યાં લોકો પોતાની જાતે પસંદ કરી શકે કે તેમણે કેટલો સમય જીવવું છે. ‘ટુમોરો બાયો’ કંપનીએ અત્યાર સુધીમાં ૬ લોકો અને પાંચ પાળેલાં જાનવરોનાં શબ પ્રિઝર્વ કરી રાખ્યાં છે અને ૬૫૦ લોકોએ પોતાના મૃત્યુ બાદ આ રીતે બૉડી પ્રિઝર્વ કરાવી રાખવા માટે પ્રી-રજિસ્ટર કરાવી રાખ્યું છે. વ્યક્તિના મૃત્યુ બાદ બને એટલું ઝડપથી શરીરને લિક્વિડ નાઇટ્રોજન ભરેલા સ્ટીલના કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવે છે અને પ્રિઝર્વેશન સેન્ટરમાં માઇનસ ૧૯૮ ડિગ્રી ટેમ્પરેચર પર બૉડીને ફ્રીઝ કરી દેવાય છે.