18 May, 2026 11:39 AM IST | Chittorgarh | Gujarati Mid-day Correspondent
આ પુસ્તકના પહેલા પેજ પર શ્રી સાંવરિયા સેઠ કી જય લખ્યું છે
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું ભગવાન કૃષ્ણનું ફેમસ સાંવરિયા સેઠ મંદિર આમ તો વેપારીઓના ભાગીદારના રૂપમાં પૂજાય છે. અહીં ભક્તો ભગવાનને પોતાના ધંધામાં ભાગીદાર બનાવીને સુખસમૃદ્ધિની માનતા માને છે. જોકે તાજેતરમાં સાંવરિયા સેઠે એક ભક્તની સારા એજ્યુકેશનની માનતા પણ પૂરી કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બારમા ધોરણની પરીક્ષામાં દીકરો સારા માર્ક્સે પાસ થાય એની વેપારી પિતાએ માનતા રાખી હતી. તે છોકરાને ૯૫ ટકા માર્ક્સ આવ્યા હતા અને તેણે પોતાની સ્કૂલમાં ટૉપ કર્યું હતું. આ માનતા પૂરી થતાં તેના વેપારી પિતાએ ચાંદીનું પુસ્તક ઘડાવીને પ્રભુનાં ચરણે ધર્યું હતું. આ પુસ્તક પાંચ પાનાંનું છે અને પ૦ ગ્રામ ચાંદીમાંથી તૈયાર થયું છે. આ પુસ્તકના પહેલા પેજ પર શ્રી સાંવરિયા સેઠ કી જય લખ્યું છે અને બીજી તરફ 12th Pass લખ્યું છે. એક પેજ પર સાંવલિયા સેઠની મૂર્તિ પણ અંકિત થયેલી છે.