20 May, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને સોનાની ખરીદીથી દૂરી રાખવાની કરવામાં આવેલી અપીલ બાદ બિહારના રોહતાસ જિલ્લાના ડેહરી વિસ્તારમાં એક ઝવેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અહીંની એક જ્વેલરી શૉપના માલિકે આર્થિક સંકટનો સામનો કરવા માટે પોતાની દુકાનની બરાબર બહાર જ ચા અને ભજિયાંનો સ્ટૉલ શરૂ કરી દીધો છે એટલું જ નહીં, એનું વિધિવત્ ઉદ્ઘાટન પણ કરાવ્યું છે.
ઝવેરીના જણાવ્યા અનુસાર વડા પ્રધાનની આ અપીલ પછી સોનાના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો છે અને ધંધો સાવ ઠપ થઈ ગયો છે એટલે આવી પરિસ્થિતિમાં ઘર ચલાવવું મુશ્કેલ બનતાં તેણે ભારે મનથી અને મજબૂરીવશ આ પગલું ભરવું પડ્યું છે. જ્વેલરી શૉપની બહાર ધમધમતી ચા-ભજિયાંની આ લારી હવે સ્થાનિક લોકોમાં ભારે આકર્ષણ અને કૌતુકનું કેન્દ્ર બની છે. વડા પ્રધાનના નિવેદન સામે વેપારી દ્વારા અપનાવવામાં આવેલો વિરોધનો આ અનોખો અંદાજ સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે.