19 August, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવે ઍક્ટ્રેસ અને BJP સંસદસભ્ય કંગના રનૌતના જેન-ઝી વિશેના ‘જનરેશન ગટર’ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દેશના યુવાનોને આ રીતે સંબોધિત કરવા એ ભ્રષ્ટ મનની નિશાની છે.
કંગનાએ યુવા પેઢીના એક હિસ્સાને ‘જનરેશન ગટર’ તરીકે ઓળખાવ્યો હતો, જેનાથી ભારે ચર્ચા શરૂ થઈ હતી. એક ઇન્ટરવ્યુમાં બાબા રામદેવને કંગના રનૌતની કમેન્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પહેલાં તેની લાયકાત અને પૃષ્ઠભૂમિ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પત્રકારે તેમને યાદ અપાવ્યું કે કંગના સંસદસભ્ય છે, જેના પ્રતિભાવમાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘તેનું બાળપણ કેવું હતું? તેની યુવાની કેવી હતી? ઉનકે પહલે કે કારનામે કૈસે રહે હૈં? હું આવા લોકો વિશે વાત કરવા માગતો નથી. કોઈ પણ વ્યક્તિ દેશના યુવાનોને ગટર કહે એ બગડેલા દિમાગની નિશાની છે. એ ખોટું છે. તેમના પક્ષના લોકોએ આ તરફ ધ્યાન આપવું જોઈએ.’
જ્યારે પત્રકારે કહ્યું કે કંગના બાબા રામદેવના યોગની અનુયાયી છે અને પોતાને સનાતની કહે છે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ‘જો કોઈ મારા યોગનાં વખાણ કરે છે તો શું મારે તેનાં પાપો ઢાંકવાં જોઈએ? ભારતના યુવાનોને જાતિ કે સમુદાયનાં ચશ્માંથી ન જોવા જોઈએ. જુઓ, ભલે કોઈ પણ જાતિ, સંપ્રદાય કે સમુદાય હોય, આજના યુવાનો કોઈ જાતિ નથી. યુવાનો જ સર્વસ્વ છે. તેઓ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્ય, દલિતો, આદિવાસી, વનવાસીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં બાળકો છે. તેઓ બધાં બાળકો છે. આજના યુવાનોમાં અપાર શક્તિ છે. આ વાતનો કોઈ ઇનકાર કરી શકે નહીં. યુવાનોએ સારા અને ખરાબ બન્ને પ્રકારના લોકોને વિચાર કરતા કરી દીધા છે.’
ઍક્ટ્રેસ અને સંસદસભ્ય કંગના રનૌત અવારનવાર ચર્ચામાં રહે છે. ફિલ્મ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી વાતો ઉપરાંત તે અવારનવાર સામાજિક-રાજકીય મુદ્દાઓ પર પણ ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરે છે. હાલમાં કંગના મુંબઈમાં છે ત્યારે પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી હતી. આ સમયે કંગનાએ ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરી હતી અને એની સાથે વાળમાં ગજરો અને હેવી ઇઅર-રિંગ્સ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. કંગનાએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે સિદ્ધિવિનાયક મંદિર અને મુમ્બાદેવી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરતી જોવા મળી રહી છે.