હરિયાણામાં કૉન્ગ્રેસના વિધાનસભ્યનો મત રદ જાહેર કરવામાં આવ્યો, મતગણતરી અટકાવવામાં આવી

17 March, 2026 11:42 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચે તપાસ બાદ અનિલ વિજના મતને માન્ય માન્યો હતો

પ્રતીકાત્મક તસવીર

હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે મતદાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. BJP અને કૉન્ગ્રેસ બન્ને દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ હરિયાણામાં મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.
BJPએ કૉન્ગ્રેસના બે મત સામે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે કૉન્ગ્રેસે પ્રધાન અનિલ વિજ દ્વારા નાખવામાં આવેલા મત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. બન્ને પક્ષોના વાંધાને કારણે મતગણતરીની પ્રક્રિયા એક કલાકથી વધુ સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચે તપાસ બાદ અનિલ વિજના મતને માન્ય માન્યો હતો. કૉન્ગ્રેસના વિધાનસભ્ય પરમવીર સિંહનો મત રદ કરવામાં આવ્યો હતો. ભરત સિંહ બેનીવાલ અંગેનો નિર્ણય હજી બાકી છે. જોકે આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ દરમ્યાન કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભારતના ચૂંટણીપંચને પત્ર લખ્યો છે. આ બન્ને બેઠકો પર BJPના સંજય ભાટિયા, કૉન્ગ્રેસના કરમવીર સિંહ બૌદ્ધ અને અપક્ષ ઉમેદવાર સતીશ નંદલ ચૂંટણી લડી રહ્યા છે. BJP સતીશ નંદલને ટેકો આપી રહી છે. સતીશ નંદલ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી BJPના ઉમેદવાર તરીકે લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.
હરિયાણા વિધાનસભામાં કૉન્ગ્રેસ પાસે ૩૭ વિધાનસભ્યો છે. ૩૭ વિધાનસભ્યો હોવાનો અર્થ એ છે કે એની પાસે એના ઉમેદવારને બેઠક જીતવા માટે જરૂરી સંખ્યા છે. જોકે ક્રૉસ-વોટિંગની સ્થિતિમાં સમીકરણ બદલાઈ શકે છે.

૯૦ બેઠકોવાળી વિધાનસભામાં ૮૮ વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું. ઇન્ડિયન નૅશનલ લોક દલ (INLD)ના બન્ને વિધાનસભ્યો અર્જુન ચૌટાલા અને આદિત્ય દેવી લાલ મતદાનમાં ગેરહાજર રહ્યાં હતાં. ૮૮ મતો સાથે વિજેતા ક્વોટા હવે ૩૦ છે.

national news india haryana congress bharatiya janata party bhartiya janta party bjp election commission of india