10 August, 2025 10:05 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા પછી તબાહ થઈ ગયેલાં ગામો પર એક નવું તળાવ બની ગયું હતું. આ તળાવમાં ચીજવસ્તુઓ અને કાટમાળ તરતાં જોવા મળ્યાં હતાં
પાંચમી ઑગસ્ટે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી મચી ગઈ હતી. ચોતરફ ભારે નુકસાનીનાં દૃશ્યો સર્જાયાં હતાં. અચાનક આવેલા પૂરથી વિનાશના દોર બાદ ઉત્તરકાશીમાં હર્સિલ ગામમાં એક નવું તળાવ બની ગયું હતું. પૂરથી નાશ પામેલાં બાંધકામોનો કાટમાળ આ તળાવમાં તરતો જોવા મળ્યો હતો.
ઉત્તરાખંડમાં અચાનક પૂરથી અકલ્પનીય વિનાશ થયો છે જેમાં બચી ગયેલા લોકોએ આ આપત્તિને એક દુઃસ્વપ્ન ગણાવ્યું હતું. શુક્રવારે બપોર સુધીમાં કુલ ૫૬૬ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે હજી પણ ફસાયેલા ૩૦૦ લોકો માટે બચાવ-કામગીરી ચાલી રહી છે.
આ વિસ્તારમાં ઓછામાં ઓછા પાંચ લોકોએ આ પૂરમાં જીવ ગુમાવ્યો હતો અને ૫૦ જણ હજી પણ ગુમ છે. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) બચાવ-કામગીરીમાં સક્રિયપણે સામેલ છે, જેમાં પીડિતોને શોધવા માટે કૅમેરા અને થર્મલ ઇમેજિંગ કૅમેરા સહિત અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.