ત્રિપુરામાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં રથમાં આગઃ ૭ જણનાં મોત , ૧૮ને ઈજા

29 June, 2023 10:04 AM IST  |  Agartala | Gujarati Mid-day Correspondent

આ રથ ૧૩૩ કેવીના એક ઓવરહેડ કૅબલના સંપર્કમાં આવ્યો હતો. 

ત્રિપુરામાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં રથમાં આગઃ ૭ જણનાં મોત , ૧૮ને ઈજા

ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ગઈ કાલે એક રથ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યા બાદ એમાં આગ લાગી હતી, જેના લીધે ૭ જણનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૧૮ જણને ઈજા થઈ હતી. ભગવાન જગન્નાથના ઉત્સવ ‘ઉલ્ટા રથ યાત્રા’ દરમ્યાન કુમારઘાટ એરિયામાં બપોરે સાડાચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. 
આ ઉત્સવ દરમ્યાન ભગવાન બળદેવ, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ રથયાત્રાના એક અઠવાડિયા બાદ પોતાના મંદિરમાં પાછા ફરે છે. 
લોખંડથી બનેલા રથને હજારો લોકો ખેંચી રહ્યા હતા. આ રથ ૧૩૩ કેવીના એક ઓવરહેડ કૅબલના સંપર્કમાં આવ્યો હતો. 
અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) જ્યોતિષમાન દાસ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘૭ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય ૧૮ જણને ઇન્જરી થઈ છે. ઈજાગ્રસ્તોની નજીકની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.’

Rathyatra tripura agartala national news