હવે ઝારખંડમાં પેપર-લીક મુદ્દે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર, મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામાની માગણી

03 August, 2026 10:11 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

રાંચીમાં વિદ્યાર્થીઓને પ્રશાસન તંબુ લગાવવાની પણ મંજૂરી આપી રહ્યું નથી

રાંચીમાં ૯ દિવસથી ચાલી રહેલા સ્ટુડન્ટ્સના વિરોધ-પ્રદર્શને ગઈ કાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

નવી દિલ્હીના જંતર મંતરમાં નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) પેપર-લીકના મુદ્દે વિરોધ બાદ હવે ઝારખંડમાં પેપર-લીક અને પરીક્ષામાં ગેરરીતિઓ સામે હજારો વિદ્યાર્થીઓએ રસ્તા પર ઊતરી આવીને વિરોધ નોંધાવ્યો છે. રાજ્યના પાટનગર રાંચીમાં વિદ્યાર્થીઓએ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC) પરીક્ષાના પેપર-લીકના વિરોધમાં કૅન્ડલ-માર્ચ કાઢી હતી અને મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામાની માગણી કરી હતી.

આ આંદોલનને કારણે ઝારખંડમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. JPSC અને JSSC કૅન્ડિડેટ્સ જસ્ટિસ ફોરમના બૅનર હેઠળ પચીસમી જુલાઈથી રાંચીની બાપુવાટિકા ખાતે વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે અને રાજ્યભરના ઉમેદવારો અને કોચિંગ સંસ્થાઓ તરફથી એને સમર્થન મળી રહ્યું છે. નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે થયેલા મોટા વિરોધ-પ્રદર્શન બાદ વિદ્યાર્થી જૂથ જેન-ઝી દ્વારા જો તેમની માગણીઓ પૂરી ન થાય તો અનિશ્ચિત સમય માટે ભૂખહડતાળની અને ૬ ઑગસ્ટે ઝારખંડ વિધાનસભા તરફ કૂચ કરવાની તૈયારી કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓનો વિરોધ શા માટે?
 JPSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતા.
 સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી, માત્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ 
(CID)ની તપાસ અપૂરતી છે.
 ભરતી ભ્રષ્ટાચારમાં કથિત રીતે સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી.
 ભરતી-પ્રક્રિયાઓ સમયબદ્ધ પૂરી કરવી.
 ભવિષ્યની સરકારી ભરતીઓમાં વધુ પારદર્શિતા.

BJPના અમિત માલવિયાએ કર્યો સવાલ : રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને અભિજિત દીપકે ક્યાં છે? 

૧૪મી JPSC પરીક્ષામાં કથિત ગેરરીતિઓ વિશે વિરોધ-પ્રદર્શનનો એક વિડિયો શૅર કરીને BJPના નેતા અમિત માલવિયાએ સવાલ કર્યો હતો કે ‘રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ક્યાં છે? વિરોધ-પ્રદર્શનોમાં પેપર-લીક, OMR શીટમાં છેડછાડ અને ભ્રષ્ટાચારનો આરોપ છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓના નામે રસ્તા પર ઊતરનારાઓ આજે કેમ ચૂપ છે?’

પોતાની પોસ્ટમાં અમિત માલવિયાએ લખ્યું હતું કે ‘રાંચીમાં વિદ્યાર્થીઓને પ્રશાસન તંબુ લગાવવાની પણ મંજૂરી આપી રહ્યું નથી. દિલ્હીમાં જે બન્યું એ વિદ્યાર્થીઓના હિત માટે લડાઈ નહોતી, પરંતુ વિદ્યાર્થીઓના નામે રાજકારણ હતું. આજે ઝારખંડ, પંજાબ અને કર્ણાટક વિશે વિપક્ષનું મૌન પણ રાજકારણ છે.’

national news india jharkhand neet exam hemant soren ranchi